![]()
S Jaishankar : વિદેશમંત્રી એસ. જયશંકરે પુણેની યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વૈશ્વિક રાજનીતિ અને બદલાતા આર્થિક સમીકરણો પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હવે કોઈ પણ દેશ, ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે પોતાની મરજી અન્ય દેશો પર થોપી શકશે નહીં.’
સત્તા કોઈ એક દેશના હાથમાં મર્યાદિત રહી નથી : જયશંકર
વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘વિશ્વભરનું આર્થિક અને રાજકીય સંતુલન મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યું છે. હવે શક્તિ અને પ્રભાવના અનેક કેન્દ્રો ઉભરી આવ્યા છે, જેના કારણે સત્તા હવે કોઈ એક દેશના હાથમાં મર્યાદિત રહી નથી. વૈશ્વિક શક્તિઓ હવે સાર્વત્રિક રહી નથી. દેશો વચ્ચે એક સ્વાભાવિક સ્પર્ધા જોવા મળી રહી છે જે પોતાનું સંતુલન જાતે બનાવી રહી છે.
‘આઝાદી બાદ ચીને ફાયદો ઉઠાવ્યો, ભારતે પણ શાનદાર પ્રગતિ કરી’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આઝાદી પછી ઘણા દેશોએ પોતાની કિસ્મત પોતે નક્કી કરી છે. આ સમયગાળામાં ચીને સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે, જ્યારે ભારતે પણ શાનદાર પ્રગતિ કરી છે. તેની સરખામણીએ, પશ્ચિમી દેશો હવે એક જગ્યાએ થંભી ગયા હોય તેવું અનુભવે છે. પશ્ચિમી દેશોએ વધુ નફો કમાવવા માટે પોતાની ઉત્પાદન કંપનીઓ અન્ય દેશોમાં ખસેડી, જેના કારણે તેમની સ્પર્ધાત્મક ક્ષમતા ઘટી છે અને વૈશ્વિક રેન્કિંગમાં મોટો ફેરફાર આવ્યો છે.’
આ પણ વાંચો : પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના
‘ટેકનોલોજી સાથે તાલ મિલાવવા આધુનિક મેન્યુફેક્ચરિંગ વિકસાવવું જરૂરી’
જયશંકરે કહ્યું કે, ‘વૈશ્વિકીકરણ અને આધુનિક ઉત્પાદન શક્તિની વ્યાખ્યા હવે માત્ર સૈન્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં વેપાર, ઉર્જા, સંસાધનો, ટેકનોલોજી અને ટેલેન્ટનો પણ સમાવેશ થાય છે. જો ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાએ ટેકનોલોજી સાથે તાલ મિલાવવો હશે, તો આધુનિક મેન્યુફેક્ચરિંગ વિકસાવવું અનિવાર્ય છે.’ તેમણે નવી પેઢીને આહવાન કર્યું હતું કે હવે વિકસિત ભારત બનાવવાની જવાબદારી યુવાઓ પર છે.
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જોઈએ










