![]()
Congress Yatra: રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. એક તરફ આમ આદમી પાર્ટી સક્રિય બની છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દે ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રાનો પ્રારંભ આવતીકાલે 6 નવેમ્બરના રોજ ગીર સોમનાથની પવિત્ર ધરતી પરથી થશે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ આ યાત્રા શરૂ થશે. યાત્રાની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ કરવામાં આવશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના દેવા માફીની માંગને બુલંદ કરવાનો છે.
સૌરાષ્ટ્રના 10 જિલ્લામાંથી પસાર થશે યાત્રા
આ ‘ખેડૂત આક્રોશ યાત્રા’ સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓને આવરી લેશે. ગીર સોમનાથથી શરૂ થઈ આ યાત્રા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર થઈને 13 નવેમ્બરના રોજ દ્વારકામાં સમાપન થશે.
આ પણ વાંચો: પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી
સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવાનો પ્રયાસ
રાજકીય વિશ્લેષકોના મતે આ યાત્રા દ્વારા કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબૂત કરવા મેદાને ઉતરી છે. યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના અને સમસ્યાઓ જાણવા માટે સીધા તેમના ખેતર સુધી જશે અને તેમની સાથે સંવાદ કરશે.
યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે.
પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર
ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાકને થયેલા વ્યાપક નુકસાનને લીધે ખેડૂતો પાયમાલ બન્યા હોવાના અહેવાલો વચ્ચે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે.
દેવા માફી માટે પગાર આપવાની તૈયારી
પત્રમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘જો સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે અમોને મળતો પગાર અમો આ દેવા માફીમાં આપવા તૈયાર છીએ.’
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાત
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી. મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે. SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.










