New CJI Justice Surya Kant: સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈએ કેન્દ્રીય કાયદા મંત્રાલયને એક પત્ર લખ્યો છે. તેમાં જસ્ટિસ સૂર્યકાંતને આગામી CJI બનાવવાની ભલામણ કરવામાં આવી છે. વર્તમાન સીજેઆઇ ગવઈ ટૂંકસમયમાં નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. અહેવાલો અનુસાર, તેમના બાદ જસ્ટિસ સૂર્યકાંત દેશના આગામી 53માં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે કાર્યભાર સંભાળશે.
સીજેઆઇની નિમણૂક માટે પરંપરા છે કે, નિવૃત્ત થનારા સીજેઆઇ નિવૃત્તિના એક મહિના પહેલાં કાયદા મંત્રાલય સમક્ષ આગામી સીજેઆઇના નામની ભલામણ રજૂ કરે છે. મોટાભાગે તેમની ભલામણના આધારે જ આગામી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવે છે.
કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?
સુપ્રીમ કોર્ટમાં હાલ સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ સૂર્યકાંત છે. તેમની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ દેશના 53મા CJI તરીકે પદ સંભાળશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 સુધી આ પદ પર કાર્યરત રહેશે. હરિયાણાના હિસારમાં 10 ફેબ્રુઆરી, 1962ના રોજ જન્મેલા જસ્ટિસ સૂર્યકાંત સસુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ ગવઈ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. તેમણે 1981માં ગવર્નમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ કૉલેજ, હિસારમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 1984માં રોહતકના મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે હિસારની જિલ્લા કોર્ટમાંથી વકીલાત તરીકે પ્રેક્ટિસ શરુ કરી હતી. ત્યારબાદ એક વર્ષમાં જ તેમણે પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંતની વર્ષ 2004માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિમણૂક થઈ હતી. 5 ઑક્ટોબર, 2018માં હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. ત્યાં એક વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યા બાદ 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા.











