![]()
વડોદરાઃ રણોલીની નેન્સીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાના બનેલા બનાવમાં તેના પિયર પક્ષે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસે નેન્સીના પતિ અને દિયર સામે ગુનો નોંધ્યો છે.
રણોલીના મોટા મહાદેવ ફળિયામાં રહેતા અને ખાનગી નોકરી કરતા ભાવેશ ભુરસિંગ વાદી સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી નેન્સીએ દોઢ વર્ષ પહેલાં ફૂલહાર કર્યા હતા અને સાસરીમાં રહેવા ગઇ હતી.
જો કે ત્યારબાદ પતિ અને દિયર જીગર વાદી નાનીનાની વાતોમાં નેન્સી સાથે ઝઘડા કરતા હતા.જે બાબતે નેન્સી તેની માતા અને અન્ય પિયરીયાને વાત પણ કરતી હતી.ગઇ તા.૨જી એ સાંજે નેન્સીએ પતિ સાથે વાત કરી હતી અને ત્યારબાદ ફાંસો ખાઇ લીધો હતો.પતિએ નેન્સીના પિયરપક્ષને કાંઇક થઇ ગયું છે તે રીતે તેની માતાને જાણ કરતાં માતા-પિતા રણોલી ગયા હતા.પરંતુ ત્યાંથી નેન્સીને સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હોવાથી ત્યાં સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં નેન્સીનો મૃતદેહ જોવા મળ્યો હતો અને ગળાના ભાગે નિશાન પણ હતા.
બનાવને પગલે પિયર અને સાસરી પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.આખરે નેન્સીના પિતા મુકેશભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જવાહરનગર પોલીસે પતિ અને દિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધ્યો છે.










