![]()
ગટરનું દૂષિત પાણી ભરાઇ રહેતા રોગચાળાની ભીતિ
અનેક વાર રજૂતઆત છતાં સમસ્યા અધ્ધરતાલ, વાલ્મિકી વિસ્તાર પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન સામે લોકોમાં રોષ
ધોળકા – ધોળકાના જુના ઇટવાડા વિસ્તારની પાછળ આવેલા વાલ્મિકી વાસમાં રહેતા અનેક પુરૃષો અને મહિલાઓ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને આજે પણ અમુક લોકો ફરજ બજાવે છે. શહેરને સ્વચ્છ રાખતા આ સફાઇ કર્મીઓના ઘર પાસે અને શેરી માર્ગો ઉપર ઉભરાતી ગટર અને કિચડના થર જામતા નર્ક જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.
સ્થાનિકોએ આ સમસ્યાને અંગે પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા નાના બાળકો, વૃદ્ધો સહિતના લોકોને દૂષિત પાણી અને ગંદકી વચ્ચે જીવવાનો વારો આવ્યો છે. ઘર પાસે જ કિચડ અને ઉભરાતી ગટરોની સમસ્યાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોચાળો ફાટી નીકળશે તેવી દહેશત ઉભી થઈ ચુકી છે. આ વિસ્તારના શેરી મહોલ્લાની ચારથી પાંચ ગટર ચેમ્બરો ખુલ્લી છે. શેરીમાં આવેલા દેવી-દેવતાના દેવસ્થાનોની આગળ પણ દૂષિત ગટરોના પાણી ફરી વળ્યા છે જેથી આ શ્રમિકો પૂજા-અર્ચના કરવા પણ જઈ શકતા નથી.
પાલિકા તંત્રના આ વિસ્તાર પ્રત્યેના ઓરમાયા વર્તનથી વાલ્મિકી સમાજના લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે. જે સફાઈ કામદારો શહેરની સફાઈમાં જોડાયેલા હોય અને તેમના જ વિસ્તારમાં તેઓને સફાઈ કામ સહિત કાદવ કિચડ અને ઉભરાતી ગટરોના પાણી જેવી સમસ્યા બાબતે પાલિકામાં કાંઈ બોલી શકતા ન હોય તો વાલ્મિકી સમાજના લોકોની ફરિયાદો કોણ સાંભળશે. પાલિકા તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવી આ વાલ્મિકી વિસ્તારને ગંદકી મુક્ત કરાવે તેવી આ વિસ્તારના શ્રમજીવી અત્યંત ગરીબ લોકોની માંગણી છે.










