![]()
વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતી ધો.૧૦ ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ઓઢણી વડે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માંજલપુર પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીના પિતા સોડાની લારી ચલાવે છે. ગઇકાલે રાતે તે ઘરે કામ કરતી હતી. ત્યારે તેની માતા પિતાને જમવાનું આપવા માટે લારી પર મકાનને બહારથી લોક મારીને ગઇ હતી. પુત્રીએ આઇસક્રીમ મંગાવ્યો હોઇ માતાએ ફોન કરતા તેણે ફોન રિસિવ કર્યો નહતો. પાડોશીને તપાસ કરવાનું કહેતા પાડોશીએ ઘરનો દરવાજો ખખડાવતા પુત્રીએ દરવાજો ખોલ્યો નહતો. જેથી, માતા તરત ઘરે પરત આવી હતી. ઘરનું લોક ખોલીને જોતા પુત્રીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માંજલપુર એ.એસ.આઇ. સુરેશભાઇએ સ્થળ પર જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.










