![]()
– છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં રોડનું સમાર કામ નહીં થતાં લોકોને મુશ્કેલી
નડિયાદ : નડિયાદ શહેરના મરીડા દરવાજાથી હાથજ ગામ તરફ જતો રોડ ભંગાર હાલતમાં છે. જેના કારણે સોસાયટી અને હાથજ પંથકના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે રજૂઆત છતાં સમારકામ નહીં થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.
નડિયાદ શહેરના મરીડા દરવાજાથી રિંગરોડ થઈ હાથજ નવાગામ તરફ જતો રોડ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. આ રોડ ઉપર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ રોડ ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભૈરવનાથ મંદિર, સ્કૂલ, હોસ્પિટલ તેમજ સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો નીકળી ન શકે તેવી ભયજનક હાલતમાં ફેરવાયો છે. આ રોડ મરીડા, હાથજ, નવાગામ, વાલ્લા સહિત ૧૦ ગામોના લોકોની અવરજવર રહે છે. આ રોડનું સમારકામ કરવા અવારનવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ રોડનું તાકીદે સમારકામ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.










