![]()
– 4 વ્યકિત સામે પોલીસ ફરિયાદ
– દુકાન પાસેથી શખ્સ જેમ તેમ બોલતો જતો હોવાથી ના પાડતા સાગરિતો સાથે આવીને મારમાર્યો
નડિયાદ : નડિયાદના મિલ રોડ, વણઝારા ગ્રાઉન્ડ વિસ્તારમાં નજીવી બાબતે ચાર શખ્સોએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. આ મામલે ચાર વ્યકિત સામે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.
શહેરના મિલ રોડ, વણઝારા ગ્રાઉન્ડ, સરદાર ભવન પાછળ રહેતા શ્રવણભાઈ વણઝારાના ઘરમાં જ પાન-બીડી અને પરચૂરણ માલસામાનની દુકાન આવેલી છે. તા.૧૨/૧૧/૨૦૨૫ના રોજ સાંજે વિસ્તારનો અલ્પેશ વાલજી લાકડીવાળા (દેવીપૂજક) તેમની દુકાન પાસેથી ગમે તેમ બોલતો પસાર થતો હતો. દુકાનદાર શ્રવણભાઈએ પોતાની દીકરીઓ દુકાને બેસતી હોવાથી તેને ગમે તેમ બોલવાની ના પાડી હતી.
આ અદાવત રાખી અલ્પેશ અને તેના સાગરિતો મુકેશ અરજણ લાકડીવાળા, જેસીંગ અરજણ લાકડીવાળા અને અલ્પેશના ફુવા ઈશ્વરભાઈ શ્રવણભાઈની દુકાને આવ્યા હતા. તેઓએ દુકાનદારને ગાળો બોલી ‘તુ અલ્પેશ સાથે કેમ ઝઘડો કરે છે? તને બહુ ચરબી ચઢી છે,’ તેમ કહી ઝઘડો કર્યો હતો. અલ્પેશે હથોડીથી દુકાનદાર પર હુમલો કર્યો હતો અને ત્રણેય શખ્સોએ શ્રવણભાઇને મારમારતા ઇજા થઇ હતી. આ ઘટનાને લઇ લોકો દોડી આવ્યા હતા. દુકાનદારને ધમકી આપીને શખ્સો નાસી છૂટયા હતા. આ અંગે નડિયાદ શહેર પોલીસે ઈજાગ્રસ્ત દુકાનદાર શ્રવણભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










