![]()
– વીજળી બચાવોની વાતો પોકળ
– ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરહાજરીમાં ખુલ્લી રાખેલી ચેમ્બરમાં બિનજરૂરી વીજળીના વેડફાટ અંગે પ્રશ્નો
નડિયાદ : એક તરફ સરકાર દ્વારા ‘વીજળી બચાવો’ના અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નડિયાદમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં જવાબદાર પદાધિકારીની ગેરહાજરીમાં પણ વીજ ઉપકરણો ચાલુ રહેતા હોવાનું સામે આવ્યું છે. આમ સરકારની કરકસરની વાતો માત્ર ગુલબાંગો પુરવાર થઈ રહી છે.
નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ખાસ કરીને સોમવાર અને ગુરૂવારે કે સામાન્ય સભા હોય ત્યારે પોતાની ચેમ્બરમાં જોવા મળતા હોય છે. બીજી બાજુ નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની ગેરહાજરીમાં પણ દરરોજ તેમની ચેમ્બર ખુલ્લી જોવા મળે છે. તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ ચેમ્બરમાં કોઈ ન હોય છતાં પંખા અને લાઇટો ચાલુ જોવા મળતી હોય છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. શનિવારે ચેમ્બરમાં કોઈ પણ વ્યક્તિની હાજરી નહોતી, છતાં પણ પંખા ફરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ પ્રમુખની ચેમ્બરની સામે આવેલ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં પંખા તેમજ લાઇટો બંધ જોવા મળી હતી. આમ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં વીજ ઉપકરણના ઉપયોગ અંગે વિરોધાભાસી સ્થિતિ જોવા મળી હતી. સરકારી કચેરીઓનું વીજ બિલ સામાન્ય જનતા દ્વારા ભરાતા ટેક્સમાંથી ચૂકવાય છે, ત્યારે આવી રીતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરહાજરીમાં ખુલ્લી રાખેલ ચેમ્બરમાં બિનજરૂરી વીજળીનો વેડફાટ કેટલે અંશે યોગ્ય છે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.










