![]()
ડેપ્યુટી કમિશનરના ખુલાસા સામે કોંગ્રેસના આક્ષેપો
ડે. કમિ.નો લૂલો બચાવ : કર્મીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરાઈ નહોતી, તેથી ભ્રષ્ટાચાર કહી શકાય નહીં
નડિયાદ: નડિયાદ પાલિકામાં વર્ષ ૨૦૧૧થી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ જમા ન કરાવવાના મામલે ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢયા હતા, જેની સામે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આકરા પ્રહારો કર્યા છે. પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે કે, અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ જૂઠું બોલી રહ્યાં છે અને આ આખું પ્રકરણ ૧૭ કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો કરે છે.
નડિયાદ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા બનેલા આ તંત્રમાં કર્મચારીઓના હક્કના નાણાં બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી કે, ભૂતકાળમાં કર્મચારીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરવામાં આવી નહોતી, તેથી આને ભ્રષ્ટાચાર કહી શકાય નહીં. તેમણે ઉમર્યું હતું કે, હાલમાં ૨૦૧૧થી જે કર્મચારીઓના પી.એફ. ભરવાના બાકી છે તેની ગણતરી અને વહીવટી પ્રક્રિયા ચાલુ છે. સરકારની ૨૦૧૭થી ૨૦૨૫ સુધીની યોજનાનો લાભ લેવા માટે પણ તંત્ર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, કેટલા કર્મચારીઓનું કેટલું પી.એફ. બાકી છે તેના ચોક્કસ આંકડા આપવાનું તેમણે ટાળ્યું હતું.
બીજી તરફ, કોંગ્રેસ નેતા હાદક ભટ્ટે આ ખુલાસાને પાયાવિહોણો ગણાવતા જણાવ્યું હતું કે, અધિકારીએ પોતે જ સ્વીકાર્યું છે કે પી.એફ. ભરાયું નથી, જે સૌથી મોટો પુરાવો છે. તેમજ સરકારના નોટિફિકેશન બતાવીને આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૧માં જ્યારે પી.એફ. નંબર લાગ્યો ત્યારે ૪૫થી ૫૫ કર્મચારીઓ હતા, જે આજે ચોપડે માત્ર ૧૩ જ બતાવાય છે. સિક્યુરિટી, સફાઈ અને રોડ કોન્ટ્રાક્ટના શ્રમિકોને લઘુત્તમ વેતન પણ મળતું નથી અને તેમના પી.એફ.માં પણ મોટાપાયે ગોલમાલ થઈ છે. તેમણે ચીમકી આપી હતી કે, જો તંત્ર આ અંગે શ્વેતપત્ર જાહેર નહીં કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં ભરે તો આ લડત હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ કે, ડે. કમિશ્નર રાજકીય દબાણવશ થઈ અને લૂલો બચાવ કરી રહ્યાં છે અને સત્યથી વિપરીત વાત કરી રહ્યા છે. ડે. કમિશનરે આ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વગર જે હકીકત છે તે સ્વીકારી અને કર્મચારીઓના હિતમાં કામગીરી કરવી જોઈએ અને જો તે સાચા હોય તો સંતરામ ચોકમાં જાહેરમાં હિસાબ લઈને આવી જાય અમે સામે પુરાવા રજૂ કરીશું.
– નિવૃત્ત કર્મચારીઓનું ભાવિ અદ્ધરતાલ
તંત્ર પાસે નિવૃત્ત થયેલા કે મૃત્યુ પામેલા કર્મચારીઓના પી.એફ. ચૂકવવા અંગે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. ડેપ્યુટી કમિશનરે માત્ર એટલું જ કહ્યું કે, ઈપીએફઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે, પરંતુ વર્ષોેથી રાહ જોતા નિવૃત્તોને ક્યારે ન્યાય મળશે તે પ્રશ્ન અનુત્તર છે.
– કોન્ટ્રાક્ટ પ્રથામાં શોષણનો ગંભીર આક્ષેપ
આક્ષેપ કરાયો છે કે, નડિયાદમાં સત્તાધારી પક્ષના મળતિયાઓ જ મોટાભાગના કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને પગારની સ્લિપ આપવામાં આવતી નથી કે બેંકમાં પગાર જમા કરાવાતો નથી. ૧૭ કરોડ જેટલી માતબર રકમ પી.એફ. પેટે બાકી નીકળે તેમ છે.










