![]()
– પાલિકા કમ્પાઉન્ડમાં અગાઉ ભાજપ- કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી
– કમિશનર સાથે બેઠક કરનાર અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સાથે જોડાયેલા અગ્રણી અને સાથીઓનો ઘેરાવો કરી ટપલીદાવ
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા કમ્પાઉન્ડ આજે સફાઈ કામદારોના આક્રોશનો ભોગ બન્યું છે. સફાઈ કામદારોની ચાલુ લડત વચ્ચે કર્મચારીના અગ્રણી અને તેમના સાથીદારોને સફાઈ કામદારોએ ઘેરી લઈ ઉગ્ર સવાલો કર્યા હતા. પરિણામે, કમ્પાઉન્ડમાં તંગદિલીનો માહોલ સર્જાયા બાદ ટપલી દાવ થયો હતો. કર્મચારીઓએ આરોપ લગાવ્યા હતા કે, સફાઈ કામદારોને વિશ્વાસમાં લીધા વિના કમિશનર સાથે ગુપ્ત બેઠક કરી હતી અને કર્મચારીઓનું અહિત થતું હોવા છતાં બંધ બારણે બેઠકો કરી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘના નેતૃત્વ હેઠળ સફાઈ કામદારો હાલ માંગણીઓ સંદર્ભે નડિયાદ મહાનગરપાલિકા સામે લડત ચલાવી રહ્યા છે. જૂની નગરપાલિકાના ૧૮૦ જેટલા કરારી સફાઈ કર્મચારીઓ અને આ સિવાયના પણ નગરપાલિકા સબંધિત કર્મચારીઓને જૂન માસમાં મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ લેબર તરીકે અલ્ટ્રા મોર્ડન એજન્સીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. કર્મચારીઓ પર દબાણ કરી કોન્ટ્રાક્ટનું ફોર્મ ભરાવ્યું હતું, જેનો કર્મચારીઓ સખત વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ સરકારી નિયમો મુજબ કાયમી કરવા સહિતની છે. જૂન માસમાં પણ સફાઈ કામદારોના આંદોલન સમયે કમિશનરે મહેકમ ઊભું કરી ભરતી કરવાની બાંહેધરી આપ્યા બાદ વચન પૂર્ણ ના થતા કર્મચારીઓએ તા. ૨૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. કમિશ્નર દ્વારા આજે તમામ સફાઈ કામદારોને મળવા માટે બોલાવ્યા હતા. તમામ સફાઈ કામદારો મનપા કમ્પાઉન્ડ પહોંચ્યા, તે સમયે કમિશ્નરે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સાથે જોડાયેલા ભુપેન્દ્રભાઈ સોલંકી અને તેમના ત્રણ-ચાર સાથીદારોએ કમિશનર સાથે ગુપ્ત બેઠક શરૂ કરી દીધી હતી. પ્રશાસન દ્વારા મામલો શાંત કરવા માટેની બેઠક કરી રહ્યું હોવાનો આરોપ સફાઈ કર્મીઓએ લગાવ્યો હતો અને મનપા કમ્પાઉન્ડમાં જ સફાઈ કામદારોએ મજદૂર એકતા જીંદાબાદના નારા લગાવ્યા હતા. બાદમાં ગુપ્ત બેઠક માટે ગયેલા ભુપેન્દ્રભાઈ સોલંકી અને તેમના સાથીદારોને ગ્રાઉન્ડ ફ્લોર પર ઘેરી લીધા હતા. અનેક સવાલો પૂછીને જવાબ માંગ્યા હતા. આ ઘટનામાં ઉશ્કેરાયેલું ટોળું ઉગ્ર બન્યું હતું અને ભુપેન્દ્રભાઈ સાથે ટપલીદાવ પણ કરી નાખ્યો હતો. જો કે, ત્યાં હાજર સફાઈ કામદારોના અન્ય અગ્રણીઓએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો હતો.
5 શખ્સો સહિતના ટોળાએ ધમકી આપી હુમલો કર્યાની પોલીસમાં રજૂઆત
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સાથે જોડાયેલા ભુપેન્દ્રભાઈ સોલંકીએ નડિયાદ ટાઉન મથકે લેખિત ફરિયાદ આપી છે. જેમાં ભરતભાઈ વાઘેલા, ગીરીશભાઈ સોલંકી, દિનેશભાઈ નવીનચંદ્ર સોલંકી, વિજયભાઈ વાઘેલા, નરેશભાઈ સોલંકી સામે આરોપ લગાવ્યા છે. સફાઈ કર્મચારીના હિતાર્થે મનપામાં રજૂઆત કરવા ગયા ત્યારે ઉપરોક્ત પાંચ લોકો ૧૦૦ લોકોના ટોળા સાથે આવી ઉગ્ર બોલાચાલી કરી ધાક-ધમકીઓ આપી હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. કમિશનરે પોલીસ બોલાવ્યા જીવ બચ્યાનો દાવો કરાયો છે. ત્યારે પાંચે વિરૂદ્ધ ગુનો નોંધવા માંગણી કરાઈ છે.
સફાઈ કામદારોને માંગણીઓ અંગેની પ્રક્રિયાથી અવગત કરાવાયાઃ ડે. કમિશનર
આ સમગ્ર મામલે ડે. કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં સફાઈ કામદારોને જે પ્રશ્નો હોય તેની રજૂઆત આવતી હોય છે, કેટલીક રજૂઆત સામુહિક પ્રશ્નોની હોય છે, તેના માટે આજે બપોરે અઢી વાગે તમામ સફાઈ કર્મચારીઓને પોતાની રજૂઆત માટે બોલાવ્યા હતા. મોટાભાગના સફાઈ કર્મચારીઓની રજૂઆત એકસરખી છે. તેના માટે મહાનગરપાલિકાએ જે-જે કાર્યવાહી કરી છે, તેનાથી સફાઈ કર્મીઓને અવગત કરાવવામાં રજૂઆત સંદર્ભે જે પ્રક્રિયા ચાલી રહી છે, તેની પણ માહિતી આપવામાં આવી છે, જેથી તમામ સફાઈ કર્મચારીઓને વિનંતી છે કે, હડતાલ પર જવાની જરૂર નથી. સરકારના માર્ગદર્શન મુજબ અને નીતિ-નિયમો મુજબ કાર્યવાહી ચાલી રહી છે.










