Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અદાણી પાઈપલાઈનમાં ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. તેવામાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને અદાણી ગેસ લાઈનનો પુરવઠો બંધ કરી દેવાયો છે.
વિજયનગર વિસ્તારમાં અદાણી ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતાં આગ લાગી
નારણપુરા વિસ્તારમાં આવેલા વિજયનગર રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઈને ત્રણ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

સમગ્ર ઘટના મામલે અદાણી ટોટલ ગેસ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ‘અદાણી ટોટલ ગેસ પાઇપલાઇનમાં નુકસાનને કારણે, વિજયનગર વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે સાંજે 4:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી ગેસ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. અમારી ઇમરજન્સી ટીમ ગેસ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે.’

નારણપુરા વિસ્તારના રૂપલ પાર્ક પાસે મકાનની છતના અચાનક પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 4 લોકો બચ્યા હોવાનું સામે આવ્યું છે. છતના પોપડા પડતાં ઘરમાં રહેતા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.










