![]()
નવીદિલ્હી : ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણય બાદ ભારત ખાતેથી અમેરિકા ખાતે થતી વિવિધ નિકાસ ખાસ કરીને ટેકસટાઈલની નિકાસ પર ફટકો પડવાની શકયતાને ધ્યાનમાં રાખી સરકારે રો કોટનને આયાત ડયૂટીમાં અપાયેલી મુક્તિ માટેનો સમયગાળો વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ ૧૮ ઓગસ્ટના એક નોટિફિકેશન મારફત રૂ પરની ૧૧ ટકા આયાત ડયૂટીને ૩૦ સપ્ટેમ્બર સુધી નાબુદ કરાઈ હતી.
મુક્તિનો સમયગાળો લંબાવાતા યાર્ન, ફેબ્રિક, ગારમેન્ટસ સહિતના ટેકસટાઈલ સેગમેન્ટને રાહત થશે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ટેકસટાઈલ નિકાસકારોને ટેકો પૂરો પાડવાના ભાગરૂપ કેન્દ્ર સરકારે રૂ (એચએસ ૫૨૦૧)ને આયાત ડયૂટીમાંથી મુક્તિનો સમયગાળો લંબાવી ૩૧ ડિસેમ્બર સુધી કર્યો છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.
આયાતી રો કોટન પર પાંચ ટકા બેઝિક કસ્ટમ્સ ડયૂટી તથા પાંચ ટકા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ મળીને એકંદરે ૧૧ ટકા ઈફેકટિવ ડયૂટી વસૂલવામાં આવે છે.
આ પગલાંને કારણે ટેકસટાઈલ મૂલ્ય સાંકળમાં કાચા માલ પાછળના ખર્ચમાં ઘટાડો થશે. અમેરિકી વહીવટીતંત્રએ ૨૭ ઓગસ્ટથી ભારતના માલસામાન પર એકંદરે ૫૦ ટકા ટેરિફ લાગુ કરી છે. આ ટેરિફને કારણે ટેકસટાઈલ ઉપરાતં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર પ્રોડકટસ સહિતની નિકાસને ફટકો પડવાની ચિંતા પ્રવર્તી રહી છે.
દેશમાં ઉત્પાદિત થતા ગારમેન્ટમાંથી ૨૫ ટકા નિકાસ થાય છે જ્યારે ૭૫ ટકાનો ઘરઆંગણે જ વપરાશ થાય છે.
૫૦ ટકા ટેરિફને કારણે ભારતના રૂની નિકાસને પણ અસર થવાની શકયતા નકારાતી નથી. રો કોટનને ડયૂટીમાં અપાયેલી રાહતથી દેશમાં તેના પૂરવઠામાં વધારો થશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે જેને પરિણામે ફિનિશ્ડ ટેકસટાઈલ પ્રોડકટસ અમેરિકાની તથા અન્ય બજારોમાં સ્પર્ધાત્મક ભાવે ઓફર કરી શકાશે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. નિકાસ માટે વૈશ્વિક ફરજપાલનના ધોરણનું પાલન કરવા ઊંચી ગુણવત્તાના રૂની ભારતના ટેકસટાઈલ ઉદ્યોગને આવશ્યકતા રહે છે.










