![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિઝિટિંગ લેકચરર માટેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.ખાસ કરીને વિઝિટિંગ લેકચરરને મહિને ૧૫૦૦૦ રુપિયા જ મહેનતાણું ચૂકવી શકાય તેવો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે કાયમી અધ્યાપકોની ખાલી જગ્યાઓ પર હંગામી અધ્યાપકોની ૧૧ મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થાય છે.જોકે હંગામી અધ્યાપકોની કેટલીક જગ્યાઓ પણ દર વર્ષે યોગ્ય ઉમેદવારના અભાવે ખાલી રહે છે અથવા તો પસંદગી થયા બાદ હંગામી ઉમેદવાર નોકરી છોડી દેવાથી ખાલી પડે છે.આ સંજોગોમાં જે તે ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિને લેકચર લેવા વિઝિટિંગ લેકચરર તરીકે બોલાવવામાં આવે છે.સામાન્ય રીતે એક હંગામી અધ્યાપકને દર સપ્તાહે ૧૯ લેકચર લેવાના હોય છે.જોકે વિઝિટિંગ લેકચરરને મહિને ૧૫૦૦૦ રુપિયાથી વધું મહેનતાણું ચૂકવી ના શકાય તેવા નિયમના કારણે અત્યાર સુધી વિઝિટિંગ લેકચરરને મર્યાદિત સંખ્યામાં લેકચર ફાળવવામાં આવતા હતા.આમ એક હંગામી અધ્યાપક સામે બે વિઝિટિંગ લેકચરર પણ રાખવા પડતા હતા.
મર્યાદિત લેકચર લેવાના હોવાના કારણે કેટલીક વખત સારા વિઝિટિંગ લેકચરર પણ મળતા નહોતા.હવે મહેનતાણાની મર્યાદા હટાવી લેવામાં આવી હોવાથી વિઝિટિંગ લેકચરરને જે તે ફેકલ્ટી ડીન સપ્તાહના ૧૯ લેકચર પણ લેવા માટે કહી શકશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પણ હંગામી અધ્યાપકોની ભરતી બાદ વિવિધ ફેકલ્ટીઓમાં ૨૫ થી ૩૦ જગ્યાઓ ખાલી પડી છે અને તેના પર વિઝિટિંગ લેકચરરની નિમણૂકો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.










