![]()
Good news for EX -Servicemen: નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ આવી છે. દેશના નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાણાકીય સહાયમાં 100% વધારાને મંજૂરી આપી દીધી છે. આ સહાય સેન્ટ્રલ મિલિટરી બોર્ડના માધ્યમથી નિવૃત્ત સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત યોજનાઓ હેઠળ આપવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે.
ગરીબી ગ્રાન્ટ બમણી
નિવૃત્ત સૈનિકો અને તેમની વિધવાઓ માટે પેન્રી ગ્રાન્ટને 4,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા પ્રતિ માસ પ્રતિ લાભાર્થી કરવામાં આવી છે. આ સહાય એ વૃદ્ધ નિવૃત્ત સૈનિકોને આજીવન પૂરી પાડવામાં આવશે જેઓ પેન્શન માટે પાત્ર ન હતા. આ લાભ 65 વર્ષથી વધુ ઉંમરની વિધવાઓને પણ મળશે. આ ગ્રાન્ટ એવા અધિકારીઓ અને સૈનિકો માટે છે જેમણે અનુક્રમે 20 અને 15 વર્ષની સેવા પૂર્ણ કરી નથી અને જેમની નાણાકીય પરિસ્થિતિ નબળી છે.
શૈક્ષણિક ગ્રાન્ટમાં વધારો
પૂર્વ સૈનિકોના આશ્રિત બાળકો માટે શૈક્ષણિક ગ્રાન્ટને 1,000 રૂપિયાથી વધારીને 2,000 પ્રતિ માસ પ્રતિ વિદ્યાર્થી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ ધોરણ 1થી ગ્રેજ્યુએશન સુધીના બે આશ્રિત બાળકોને મળશે. આ સાથે જ શહીદ સૈનિકોની વિધવાઓ માટે આ ગ્રાન્ટ બે વર્ષના અનુસ્નાતક અભ્યાસક્રમો સુધી લંબાવવામાં આવી છે.
લગ્ન ગ્રાન્ટ પણ બમણી
નિવૃત સૈનિકોની બે પુત્રીઓના લગ્ન અથવા વિધવા પુનર્લગ્ન માટે લગ્ન ગ્રાન્ટ હવે 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
નવેમ્બર 2025થી લાગુ થશે નવા નિયમો
રક્ષા મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે આ સુધારેલા દરો 1 નવેમ્બર, 2025થી સબમિટ કરાયેલી અરજીઓ પર લાગુ થશે. આ નિર્ણયના પરિણામે સરકાર પર લગભગ 257 કરોડનો વાર્ષિક નાણાકીય બોજ પડશે, જે AFFDFમાંથી ઉઠાવવામાં આવશે. આ તમામ યોજનાઓ રક્ષા મંત્રી નિવૃત સૈનિક કલ્યાણ ભંડોળ હેઠળ સંચાલિત થાય છે, જે AFFDFનો જ એક પેટા-ભંડોળ છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે
સરકારનું નિવૃત્ત સૈનિકો પ્રત્યે સન્માન
રક્ષા મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય બિન-પેન્શનર સૈનિકો, વિધવાઓ અને ઓછી આવક ધરાવતા વર્ગના આશ્રિતોના સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવશે. મંત્રાલયે તેને નિવૃત્ત સૈનિકોની સેવા અને બલિદાન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું હતું. આ પગલું ન માત્ર નિવૃત્ત સૈનિકોના જીવનધોરણમાં વધારો કરશે પરંતુ રાષ્ટ્રના રક્ષકો પ્રત્યે સરકારની કૃતજ્ઞતાનો પણ સંદેશ આપશે.










