અમદાવાદ,રવિવાર
નેપાળમાં જેન-ઝી આંદોલન દરમિયાન કાઠમંડુની જેલમા તોડીને ફરાર થઇ ગયેલા બે આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી હતી. જે અનુસંધાનમાં ગૃહ મંત્રાલયે ડીજી સિલ્વર ડીસ્ક અને ડીજી કમેન્ડેશનથી ક્રાઇમબ્રાંચના જેસીપી, એસઓજીના ડીસીપી અને સ્ટાફને સન્માનિત કરવામાં આવશે.
નેપાળમાં જેન-જી આંદોલન દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી અને કાઠમંડુની જેલ તોડીને તમામ કેદીઓ ફરાર થઇ ગયા હતા. આ કેદીઓ પૈકી કેટલાંક કેદીઓ ગુજરાતના હતા અને એક કેદી ૧૩ કરોડના ડ્રગ્સના અને અન્ય એક ગંભીર ગુનામાં ફરાર હતો.
આ અંગે નેપાળ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચને કામગીરી સોંપાઇ હતી. જેમાં સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે બંને આરોપીઓની ભાળ મેળવીને કેન્દ્રીય એજન્સીની મદદથી નેપાળ પોલીસને હવાલે કર્યા હતા.
આ કામગીરીની નોંધ લઇને ગૃહ મંત્રાલયના સીમા સુરક્ષા દળે જેસીપી શરદ સિંઘલ, એસઓજીના ડીસીપી રાહુલ ત્રિપાટી, પોલીસ ઇન્સ્પેક્ટર જે બી દેસાઇને ડીજી સિલ્વર ડીસ્કથી અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ, એએસઆઇ મહેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, વિજેન્દ્ર અને કોન્સ્ટેબલ જયપાલસિંહને ડીજી કમેન્ડેશન રોલથી સન્માનિત કરાશે.









