![]()
– કાયમી કમિશનથી વંચિત અધિકારીઓને રાહત
– વહેલા નિવૃત કરી દેવાયેલા મહિલા અધિકારીને 20 વર્ષની સેવામાં ગણીને પેન્શનના લાભ અપાશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે કાયમી કમિશનથી જે મહિલા અધિકારીઓને વંચિત રાખવામાં આવી છે તેને પણ પેન્શનના લાભ આપવામાં આવશે. જે માટે ૨૦ વર્ષની સેવા આપી હોવાના નિયમોનું પાલન થવું જરૂરી છે. જો કોઇ મહિલા અધિકારીને અગાઉ નિવૃત કરી દેવાયા હોય તો તેને પણ આ લાભ આપવો પડશે.
સુપ્રીમ કોર્ટમાં વિન્ગ કમાન્ડર સુચેતા એડન અને અન્ય મહિલા અધિકારીઓ દ્વારા અનેક અરજીઓ કરવામાં આવી છે, આ તમામ મહિલા અધિકારીઓએ કાયમી કમિશનની માગણી કરી છે. પોતાના ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે મહિલા ઓફિસર્સ માટેના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સમાં એવી ધારણા બાંધી લેવાઇ છે કે મહિલા ઓફિસર્સમાં કેરિયર પ્રોગ્રેસ નહીં થાય. આ ધારણાને કારણે મહિલા અધિકારીઓના મેરિટ પર અસર થાય છે.
બાદમાં સુપ્રીમ કોર્ટે પોતાને સંપૂર્ણ ન્યાય માટે જે બંધારણીય અધિકાર મળ્યા છે તેનો ઉપયોગ કર્યો હતો. અને શોર્ટ સર્વિસ કમિશન એસએસસી ઓફિસર્સ (નેવી, આર્મી, એરફોર્સ) કે જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવી છે તેને પેન્શનનો લાભ મળશે. આ મહિલા અધિકારીઓને તેમને જે નાણાકીય લાભના અધિકાર છે તેનાથી વંચિત ના રાખી શકાય તેવી પણ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી.










