![]()
Panchmahal Accident near Aniyad Shehera : પંચમહાલ જિલ્લાના શહેરા-મોરવા (રેણાં) રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કવાલી ગામેથી એક પરિવાર છકડામાં સવાર થઈને કલારિયા ગામે બેસણાના પ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન અણીયાદ ગામના ભરવાડ ફળીયા નજીકથી પસાર થતી વખતે અચાનક છકડો ચાલકે કાબૂ ગુમાવતા છકડો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર એક મહિલા સહિત બે વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક શહેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જે પરિવાર બેસણાના પ્રસંગે સાંત્વના આપવા જઈ રહ્યો હતો, તે જ પરિવારના બે સભ્યોના મોતના સમાચાર મળતા કવાલી ગામ સહિત મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર મામલે શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










