![]()
– ઘણાં જિલ્લાઓમાં અનેક મતદારોના માતા-પિતાનાં નામ સરખા
– મતદાર રજિસ્ટ્રેશન વખતે ગરબડો થયાનું તારણ : ઈલેક્શન કમિશને રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને કાર્યવાહીનો નિર્દેશ કર્યો
West Bengal SIR : પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન મતદાર યાદીમાં આશ્વર્યજનક બાબતો સામે આવી છે. વીરભૂમિ જિલ્લાનો કિસ્સો તો ભારે ચોંકાવનારો છે. નાનૂર વિધાનસભા વિસ્તારમાં એક વ્યક્તિને 389 મતદારોનો પિતા બતાવાતા તે મુદ્દે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. હાવડા જિલ્લામાં પણ 310 મતદાતાઓના પિતા એક જ છે. અનેક જિલ્લામાં મતદારોના માતા-પિતાનું નામ એક સમાન હોવાથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા વખતે આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. રાજ્યમાં સાત એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં તેમના સંતાનોની સંખ્યા 100 કરતાં વધારે ગણાવવામાં આવી છે. મુર્શિદાબાદમાં 199 મતદારોના માતા-પિતાનું નામ કોમન છે. દાર્જિલિંગમાં 152 મતદારોએ તેમના માતા-પિતાનું નામ એક સમાન બતાવ્યું છે. જલપાઈગુડી અને નાગરકાટામાં 120 મતદારોના પેરેન્ટ્સનું નામ એક સરખું છે. આસનસોલમાં 170 મતદાતાઓએ તેમના માતા-પિતાનું નામ એક સરખું રાખ્યું છે.
રાજ્યમાં બે લાખથી વધારે મતદારોના સંતાનોની સંખ્યા છ કે તેનાથી વધારે દર્શાવાઈ છે. 8682 કિસ્સામાં મતદારોના સંતાનોનો આંકડો 10થી વધારે છે. આ બાબત શંકાસ્પદ હોવાથી ચૂંટણી કમિશને રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને પત્ર લખીને આ બાબતોની જાણકારી આપી છે અને તેમને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
ચૂંટણી પંચે આ બાબતે મુખ્ય સચિવને 9મી ફેબુ્રઆરી સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે દલીલો થઈ તે પછી ચૂંટણી પંચે આ આંકડાં જાહેર કર્યા છે.
આ મુદ્દે બે ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, બે આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, એક ડેટા ઓપરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે. આ કાર્યવાહી ઓગસ્ટ-2025થી ચાલી રહી છે.
બશીરહાટમાં બીડીઓ સુમિત્રા પ્રીતમ પ્રધાનને આવા કેસમાં સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર આરોપ હતો કે તેમણે જાતે જ આદેશ આપીને આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસરની ભરતી કરી હતી.










