India Rejects USCIRF 2026 Report: ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ’ (USCIRF)ના 2026ના વાર્ષિક રિપોર્ટને સખત શબ્દોમાં ફગાવી દીધો છે.
ભારતે રિપોર્ટ ફગાવ્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલને સંપૂર્ણપણે પક્ષપાતી, પ્રેરિત અને ભારતની છબી ખરડવાના પ્રયાસ સમાન ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ કમિશન છેલ્લા ઘણા વર્ષોથી ઇતિહાસ અને વાસ્તવિક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે, જે તેની પોતાની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈક: હોસ્પિટલ પર બોમ્બવર્ષા, 400 મોતનો દાવો
USCIRFનો અહેવાલ પક્ષપાતી
વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, USCIRF વાસ્તવિક તથ્યોને બદલે શંકાસ્પદ સ્ત્રોતો અને પૂર્વાગ્રહયુક્ત એજન્ડાને આધારે કામ કરે છે. 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત એક જીવંત અને બહુસાંસ્કૃતિક લોકશાહી છે, જ્યાં તમામ ધર્મના લોકો પરસ્પર ભાઈચારા સાથે રહે છે. ભારતે અમેરિકાને સ્પષ્ટ સંભળાવતા કહ્યું કે, ભારતની આલોચના કરવાને બદલે કમિશને અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ વધતી જતી અસહિષ્ણુતા જેવી ગંભીર બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મંત્રાલયે મક્કમતાપૂર્વક કહ્યું કે, ભારત વિરુદ્ધ નકારાત્મક છબી ઊભી કરવાના આવા પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં.











