![]()
– પશુઓની સંખ્યા વધી પણ મહેકમ વધારવામાં આવતું ન હોવાનો કકળાટ
– પશુધન નિરીક્ષકની 4 જગ્યા ખાલી, ગૌચરની જગ્યા પરના દબાણો દૂર કરવા, અબોલ જીવોની કતલ થતી રોકવામાં તંત્ર ઊણું ઉતર્યું
પાલિતાણા : પાલિતાણા તાલુકામાં ૮૦ હજાર પશુઓની સામે માત્ર બે જ પશુ તબીબ હોવાથી પશુપાલકોને હાડમારી વેઠવી પડી રહી છે. પાલિતાણા તાલુકામાં અંદાજે ૫૫ હજાર ગાય-ભેંસ અને ૨૫ હજાર ઘેટાં-બકરાં મળી ૮૦ હજાર જેટલા અબોલ જીવો છે.
પાલિતાણા તાલુકામાં ૮૧ ગામ આવેલા છે. અગાઉની તુલનામાં પશુઓની સંખ્યા નોંધપાત્ર વધી છે. તેની સામે વર્ષોથી પાલિતાણા અને કુંભણ ગામે માત્ર બે જ વેટરનરી ડોક્ટર છે. સરકારે વેટરનરી ડોક્ટરની જગ્યાથી નીચેની પશુધન નિરીક્ષકની પોસ્ટ ઉભી કરી છે. પાલિતાણા તાલુકામાં પશુધન નિરીક્ષકની પણ એક જ જગ્યા ભરાઈ છે. ચાર જગ્યા હજુ ખાલી છે. બીમાર પશુઓના દરરોજ ૧૫થી ૨૦ કેસ આવે છે. ત્યારે પશુ તબીબનું મહેમક વધારવા અને પશુધન નિરીક્ષકની ખાલી જગ્યા પૂરવામાં આવે તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે.
વધુમાં ગૌચર પર થફલા દબાણો દૂર કરવા, અબોલ જીવોની થતી કતલ રોકવા બાબતે વર્ષોથી થતી રજૂઆતો સામે નક્કર પગલા લેવામાં તંત્ર ઊણું ઉતર્યું હોય, જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. નગરપાલિકાની હદમાં એનિલમ હોસ્ટેલ બનાવવા પડતર જગ્યા ફાળવવામાં આવે તેમજ એનિમલ એમ્બ્યુલન્સ સેવા વધુ ગામો સુધી પહોંચાડવામાં આવે તેવી ગૌસેવા સમિતિ દ્વારા માંગ કરાઈ છે.જણવામાં આવ્યું છે.










