![]()
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
સેલ્સ માર્કેટિંગ કરતો બાપુનગરનો યુવાન ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો શખ્સ અડફેટે લઈ ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પીડીપીયુ માર્ગ ઉપર ગઈકાલે રાત્રે બાઈક
ઉપર જઈ રહેલા બાપુનગરના યુવાનને અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
ગંભીર ઘાયલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર
દરમિયાન તેનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવવામાં ચિંતાજનક વધારો
થઈ રહ્યો છે. જેમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક
પીડીપીયુ માર્ગ ઉપર સિગ્નેચર બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સર્જાયેલી વધુ એક હીટ એન્ડ
રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત થયું હતું. જે સંદર્ભે પોલીસ સુત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે બાપુનગરમાં રહેતો યુવાન અશ્વિનભાઈ તેજપ્રકાશ ત્રિપાઠી ખાનગી
કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે અને ગઈકાલે રાત્રે તે ઘરે જવા માટે
નીકળ્યો હતો તે દરમિયાન પીડીપીયુ માર્ગ ઉપર સિગ્નેચર બ્રિજ પાસે એક અજાણ્યો વાહન
ચાલક તેને અડફેટ લઈને ફરાર થઈ ગયો હતો. જેથી ગંભીર ઘાયલ અવસ્થામાં ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ
મોડી રાત સુધી તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેને ફોન કર્યો હતો ત્યારે જાણવા
મળ્યું હતું કે, તેને
અકસ્માત થયો છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો તે દરમિયાન સારવાર વખતે જ તેને મોત
થયું હતું. હાલ આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન
ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.










