![]()
India-Uzbekistan Trade Relations : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) બાદ હવે ઉઝબેકિસ્તાનનના રાષ્ટ્રપ્રમુખ શાવકત મિર્જિયોયેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. તેમણે પીએમ મોદી અને દેશની પ્રજાને 79માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે જ બંને નેતાઓએ ઉર્જા, વેપાર, કનેક્ટિવિટી અને સાંસ્કૃતિક બાબતો પર ચર્ચા-વિચારણા કરી છે. આ વાતચીત એટલા માટે મહત્ત્વની છે કે, ઉઝબેકિસ્તાન ભારતનો પડોશી દેશ છે. આ ઉપરાંત તે સાઉથ એશિયામાં ઈરાનના ચાબહાર પોર્ટથી જોડાયેલો ગેટવે પણ છે.
ભારત-ઉઝબેકિસ્તાનના સંબંધો વધુ ગાઢ બનશે
રાષ્ટ્રપ્રમુખ મિર્જિયોયેવ (Uzbekistan President Shavkat Mirziyoyev) અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીની પ્રશંસા કરી છે. આ સાથે બંને નેતાઓએ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવાવનો પણ સંકલ્પ લીધો છે. બંને દેશો હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં પારસ્પરિક રાજદ્વારી ભાગીદારીને નવા સિમાચિન્હો સુધી પહોંચાડવા માટે તેમજ પ્રાચીન ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા છે.
આ પણ વાંચો : ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
ભારત માટે ઉઝબેકિસ્તાન કેમ ખાસ છે?
- ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે અને અમેરિકા આ વેપાર ઘટાડવા ભારત પર દબાણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતને એવા રિજનલ પાર્ટનરની જરૂર છે, જે રાજદ્વારી રીતે વિશ્વાસ પાત્ર હોય અને તેની પાસે વૈકલ્પિક ઊર્જા, વેપાર અને સુરક્ષા કનેક્શન હોય… તેથી આ ભૂમિકામાં ઉઝબેકિસ્તાન સંપૂર્ણ યોગ્ય દેખાઈ રહ્યું છે. ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના દિલમાં છે અને તે ઈરાનના ચાબહાર પોર્ટ સાથે જોડવાનું ગેટવે પણ છે, તેથી ઉઝબેકિસ્તાન સાથે ગાઢ સંબંધો બનાવવાથી ભારતને અનેક ફાયદો થઈ શકે છે.
- રશિયા ઉઝબેકિસ્તાનનો પારંપરિક ભાગીદાર છે અને ભારતનો પણ જૂનો મિત્ર છે. જો અમેરિકા સાથે સંબંધો ઠંડા પડશે તો ભારત ઉઝબેકિસ્તાન દ્વારા ડિફેન્સ ટેકનોલોજી, એક્સરસાઈઝ અને મિનરલ્સ સહિતના સેક્ટરોમાં રશિયા-ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરી શકશે. ઉઝબેકિસ્તાન પાસે યુરેનિયમ, સોનું અને દુર્લભ ધાતુઓ છે, જે ભારતના એનર્જી સિક્યોરિટી અને હાઈ-ટેક ઈન્ડસ્ટ્રી માટે જરૂરી છે.
- ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) દ્વારા મિડલ એશિયામાં પોતાની પક્કડ મજબૂત કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટમાં ઉઝબેકિસ્તાન પણ સામેલ છે. જો ભારત ઉઝબેકિસ્તાન સાથે ગાઢ સંબંધો બનાવશે તો ચીનની એકતરફી પક્કડ સમતોલ થઈ શકે છે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાન પાકિસ્તાનનું પડોશી છે અને અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલું છે અને ત્યાં ચીન અને પાકિસ્તાન પણ એક્ટિવ છે. ભારત માટે આ ભૌગોલિક વિસ્તારમાં કાઉન્ટર-ઈન્ફ્લુએન્સ પોઈન્ટ બની શકે છે.
ભારત 1991માં ઉઝબેકિસ્તાનને માન્યતા આપનાર પ્રથમ દેશ હતો
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા જૂના છે અને ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ અનેક પાસાઓને આવરી લે છે. ભારત, 1991માં ઉઝબેકિસ્તાનને સ્વતંત્રતા મળ્યા બાદ તેને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક હતો.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ
ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર સંબંધો
2024ના આંકડા મુજબ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ 980.4 મિલિયન ડૉલરનો છે, જોકે આ આંકડો બંને દેશોની ક્ષમતા કરતાં ઘણો ઓછો છે. ભારત ઉઝબેકિસ્તાનથી મુખ્યત્વે ફળો અને શાકભાજી, સેવાઓ, ખાતર, રસાયણો અને કેટલાક ખનિજ પદાર્થો આયાત કરે છે. જ્યારે દવાઓ, મશીનરી, ઓટોમોબાઈલના ભાગો, રસાયણો, અને કાપડની નિકાસ કરે છે. ભારતીય કંપનીઓએ ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે.
બંને દેશો દરેક મંચ પર એકબીજાને કરે છે સહયોગ
2011માં બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરી હતી, ત્યારબાદ રાજકીય અને સૈન્ય સહયોગમાં વધારો થયો છે. બંને દેશોના વડાપ્રધાનો, વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2015, જૂન 2016 અને સપ્ટેમ્બર 2022માં ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે નિયમિતપણે સંયુક્ત લશ્કરી કવાયત “DUSTLIK” નું આયોજન કરવામાં આવે છે. આ સહયોગમાં સૈન્ય તાલીમ અને સંરક્ષણ ઉદ્યોગમાં સહકારનો પણ સમાવેશ થાય છે. ભારત અને ઉઝબેકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર (UN), G20, BRICS અને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ એકબીજાને સહકાર આપે છે.
આ પણ વાંચો : પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલા જ વિવાદ! યુરોપ પણ ખુલીને યુક્રેનના સમર્થનમાં આવ્યું
ઉઝબેકિસ્તાનમાં લાલ બહાદુર શાસ્ત્રીનું સ્મારક
ભારત અને ઉઝબેકિસ્તાન સિલ્ક રોડ દ્વારા હજારો વર્ષથી એકબીજા સાથે જોડાયેલા છે. મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરનો જન્મ પણ આધુનિક ઉઝબેકિસ્તાનના ફરગાના વિસ્તારમાં થયો હતો. ભારતીય ફિલ્મો, સંગીત, યોગ અને કથક જેવા નૃત્યો ઉઝબેકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. તાશ્કંદમાં આવેલું લાલ બહાદુર શાસ્ત્રી સેન્ટર ફોર ઇન્ડિયન કલ્ચર (LBSCIC) નિયમિત રીતે ભારતીય ભાષાઓ અને કલાના વર્ગો ચલાવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન તાશ્કંદમાં થયું હતું. ત્યાં તેમના માનમાં એક સ્મારક, માર્ગ અને શાળા પણ આવેલી છે, જે બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે.










