![]()
ઓઝોનનું સ્તર બચાવો, ઓઝોન આપણને બચાવશે : રેફ્રીજરેટર, એસી અને સુગંધી સ્પ્રેમાં વપરાતો ક્લોરોફ્લોરો કાર્બન ઓઝોનને સૌથી વધુ નુકસાન કરે છે.
ભુજ/ રાજકોટ : વર્લ્ડ ઓઝોન ડે ની ઉજવણી ઓઝોન સ્તરની જાળવણી અંગેની જાગૃતિ ફેલાવા માટે થાય છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે તો તે મનુષ્ય સહિત સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત નુકસાનકાસક સાબિત થઈ શકે છે. મોટાભાગનાં વૈજ્ઞાાનિકોનું માનવું છે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. ઓઝોન લેયર વગર ધરતી પરનું જીવન ખુબ જ પ્રભાવિત થાય. પૃથ્વી પર રહેતા લોકો, જીવસૃષ્ટિ અને પ્રાણીઓ તમામનો સર્વનાશ થઈ જાય. આટલું જ નહીં, ઋતુઓ પણ અનિશ્ચિત થઈ શકે જેમકે શિયાળા કરતા ઉનાળો લાંબો થઈ જાય, શિયાળો પણ ગમે ત્યારે આવી જાય, પૃથ્વી પર રહેલી હિમશીલાઓ ઓગળી જાય તો વારંવાર ત્સુનામીની સમસ્યાઓ પણ સર્જાય શકે છે.
ઓઝોનનાં લેયરમાં પડેલા હોલ્સને ‘ઓઝોન હોલ્સ’ કહે છે. વર્ષ 1985માં સૌ પ્રથમ વખત ઓઝોન હોલ્સ અંગે વિશ્વને જાણ થઈ હતી ત્યારપછી સમગ્ર વિશ્વમાં ઓઝોનનાં લેયરમાં પડી રહેલા હોલ્સને બચાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતો ઝેરી ગેસ, વાહનોનું પ્રદૂષણ સહિત અનેક કારણોનાં લીધે ઓઝોનનું લેયર સતત પાતળું થતું જઈ રહ્યું છે. ઓઝોનનાં સ્તરમાં થઈ રહેલા આ નુકસાનને બચાવવા માટે અનેક દેશોમાં મોટી-મોટી ફેક્ટરીઓને બંધ કરી દેવાઈ છે સાથે જ સમગ્ર વિશ્વમાં સામુહિક રીતે ઓઝોનનું લેયર બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ પણ કહે છે. જુદા જુદા ઇલેક્ટ્રિક સાધનો જેવા કે રેફ્રીજરેટર, એસી અને સુગંધી સ્પ્રેમાં વપરાતો ક્લોરોફ્લોરો કાર્બન ઓઝોનને સૌથી વધુ નુકસાન કરે છે.
જુદા જુદા કેમિકલ્સ અને ધુમાડાઓ દ્વારા થતું વાયુ પ્રદુષણ, વારંવાર થતું વૃક્ષ છેદન વગેરેનાં કારણે પરીસ્થિતિ વણસી રહી છે. જો હવે જાગૃતિ રાખવામાં નહી આવે તો પૃથ્વીનો અંત નજીક જ છે, કોરોનાકાળ રૂપે તો કુદરતે પોતાનું સ્વરૂપ બતાવી જ દીધું છે, હવે આથી વધુ તો ક્યા દાખલાઓ આપણને જાગૃત કરી શકશે ! ઓઝોન બચાવો, ઓઝોન આપણને બચાવશે.










