![]()
ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી ગઇ
રાજસ્થાનનો પરિવાર દ્વારકા ખાતે દર્શન કરી સોમનાથ જતો હતો ત્યારે અકસ્માત નડયો
પોરબંદર: ગુજરાતના યાત્રાધામોના દર્શન કરવાની અભિલાષા સાથે રાજસ્થાનથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવાર માટે નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ જઈ રહેલા રાજસ્થાનના પરિવારની કારને પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા પરિવારના બે મોભીઓના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાજસ્થાનથી ગુજરાતની યાત્રાએ નીકળેલો માડી પરિવાર દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ પ્રવાસ દરમિયાન પોરબંદરથી થોડે દૂર વિસાવાડા ગામ નજીક હાઈવે પર અચાનક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પલટી ખાઈને રોડથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતમાં રાજસ્થાનના પવનદેવી નાગજી માડી નામના ૬૦ વર્ષના વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ૭૬ વર્ષના ગણેશરામ હરજી માડીનું સારવાર દરમિયાન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું.
અકસ્માતના આ બનાવમાં રાજસ્થાનના અરજનકુમાર માવારામ માડી (ઉં.વ.૩૫) નાગજીરામ હરજી માડી (ઉં.વ.૭૨) શિવરામ અરજનકુમાર માડી (ઉં.વ.૮) પન્નાલાલ નગારામ માડી (ઉં.વ.૩૩) અને મદનલાલ નાગજી માડી (ઉં.વ.૩૨)ને ઇજાઓ થતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યમાંથી આવેલા આ પરિવાર માટે પોરબંદરમાં કોઈ પરિચિત ન હોવાથી રેડ ક્રોસની ટીમે પરિવારના સભ્યો જેવી ભૂમિકા ભજવી હતી. ઘાયલ થયેલા પાંચેય દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે ટીમે હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સાથે સંકલન સાધ્યું હતું. અકસ્માત બાદની પોલીસ કાર્યવાહી, પંચનામું અને કાગળકામમાં પરિવાર મુંઝવણમાં હતો, ત્યારે રેડ ક્રોસની ટીમે તમામ પ્રક્રિયામાં મદદ કરી હતી.










