Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં ધંધુકાની ડી.એ. વિદ્યા મંદિર સ્કૂલના આચાર્યે એક વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થીના પરિવારે સ્કૂલના આચાર્ય વિનોદ લાખાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ધંધુકાની ડી.એ. વિદ્યામંદિરમાં ધોરણ 11ના વિદ્યાર્થી વિજય ચોરસિયા અને અન્ય વિદ્યાર્થી દ્વારા ક્લાસ રૂમમાં મહિલા શિક્ષિકાના નામનું ઉચ્ચારણ કરાયું હતું. આ અંગે મહિલા શિક્ષકે શાળાના આચાર્ય વિનોદ લાખાણીને શિસ્તભંગની ફરિયાદ કરી હતી. આ ઘટના પછી આચાર્યએ બંને વિદ્યાર્થીને સ્ટાફ રૂમમાં સખત માર માર્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદ આચાર્યે ક્લાસ રૂમમાં પણ બે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ કારણસર વિજય ચોરસિયા નામના વિદ્યાર્થીને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત

આ અંગે પીડિત વિદ્યાર્થી વિજય ચોરસિયાના માતા તારાબેન ચોરસિયાએ જણાવ્યું કે, ‘મારો દીકરો એક અઠવાડિયા બાદ સ્કૂલ ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી તેને તાવ હોવાથી દવા પણ ચાલુ હતી. એ જ દિવસે એટલે કે સ્કૂલમાં પહેલા જ દિવસે આચાર્યે તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના મુદ્દે અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ. ડોક્ટર પણ પોલીસને જાણ કરી છે.’










