![]()
Vadodara Food Safety : ખાદ્ય સુરક્ષા અંગે વધુ પારદર્શિતા લાવવા માટે સરકારી વિભાગ દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ મેન્યુફેક્ચરિંગ યુનિટોએ તેમના મેનુમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો પડશે કે વાનગીમાં વપરાતું પનીર ખરેખર પનીર છે કે પછી એનાલોગ પનીર છે. સૂચનાના અનુસંધાનમાં પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુની સુચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે.
14 મેન્યુફેક્ચરિંગ યુનિટ અને 150થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટને આવરી લઈ આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાચા માલનો ઉપયોગ તેમજ ગ્રાહકોને આપવામાં આવતી માહિતી અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ ગ્રાહકોને જાણ કર્યા વિના એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને હોટેલ અને રેસ્ટોરન્ટને મેનુ કાર્ડમાં સ્પષ્ટ લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
અભિયાન દરમિયાન અંદાજે દોઢસો જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે તમામ સંચાલકોને સૂચના આપી છે કે તેઓ પોતાના મેનુમાં “પનીર” કે “એનાલોગ પનીર”નો સ્પષ્ટ ઉલ્લેખ કરે જેથી ગ્રાહકોને સાચી માહિતી મળી રહે. પનીર મીડિયમ કે લો ફેટનું છે તેવું પેકિંગમાં પ૨ દર્શાવવું પડશે અને આવા પેકિંગવાળી વસ્તુઓ જ વેચી શકાશે. પાલિકા અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો કોઈ સંસ્થા સૂચનાનું પાલન નહીં કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. પગલાંથી ગ્રાહકોને યોગ્ય માહિતી મળશે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં મદદ મળશે.










