Govt Cannot Permanently Control Airfares, Says Aviation Minister | ઇન્ડિગો સંકટ વચ્ચે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર હંમેશા માટે હવાઈ મુસાફરીના ભાડા પર એક કેપ ન લગાવી શકે. તેમણે તર્ક આપ્યો કે ડી-રેગ્યુલેટેડ માર્કેટથી ગ્રાહકોને જ લાભ થાય છે. તહેવાર હોય તેવા સમયે ટિકિટના ભાવ વધે તે સ્વાભાવિક છે.
સરકારે હાલમાં જ ફ્લાઇટનું મહત્તમ ભાડું નક્કી કર્યું હતું
નોંધનીય છે કે હાલમાં જ ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સંકટમાં ફસાઈ હતી. જેમાં દરરોજ સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જેના કારણે ટિકિટના ભાવ લાખો રૂપિયામાં પહોંચી ગયા હતા. જે બાદ કેન્દ્ર સરકારે દેશની તમામ એરલાઇન્સ માટે નિયમ બનાવ્યો અને કિલોમીટરના હિસાબે મહત્તમ ભાડું નક્કી કર્યું. જોકે હવે કેન્દ્રીય મંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રાઇસ કેપનો આ નિર્ણય લાંબા સમય સુધી નહીં રહે.
જોકે કેન્દ્રીય મંત્રીએ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે કંપનીઓને મનફાવે તેમ ભાડું વસૂલવાની છૂટ તો નહીં જ મળે. જરૂર પડ્યે સરકાર હસ્તક્ષેપ કરશે જ.

એવિએશન સેક્ટર વધુ કંટ્રોલ નહીં કરે સરકાર
વિમાન મુસાફરીના ભાડાને નિયંત્રિત કરતાં એક પ્રાયવેટ મેમ્બર બિલ પર જવાબ આપતાં નાયડુએ કહ્યું, કે સિવિલ એવિએશન સેક્ટરને આગળ વધારવું હોય તો તેને ડીરેગ્યુલેટેડ જ રાખવું જોઈએ. જેથી વધુને વધુ કંપનીઓ માર્કેટમાં આવે અને મુસાફરોને લાભ થાય.










