![]()
West Bengal News: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના બનાવથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મમતા બેનરજી સરકાર પર મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને મમતા બેનરજીની સરકારની તુષ્ટિકરણની નીતિ કારણે ગુનેગારોને છૂટ મળી ગઈ છે.
ભાજપે મમતા બેનરજી સરકાર પર નિશાન સાધ્યું
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યુ ‘મુખ્યમંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને દુષ્કર્મીઓ અને ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાનમાં ફેરવી દીધું છે. આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા પછી દુર્ગાપુરમાં હવે બીજી ઘટના બની છે. મમતા બેનરજીના નિષ્ફળ અને કાયદાહીન શાસન હેઠળ, પશ્ચિમ બંગાળ મહિલાઓની સુરક્ષા માટે એક દુઃખદ સપનું બની ગયું છે. ગામડાઓથી શહેરો સુધી હોસ્પિટલોથી ઘરો સુધી મહિલાઓને ક્યાંય પણ સલામતી નથી. તુષ્ટિકરણની નીતિ દ્વારા પોલીસ તપાસને અપંગ બનાવી દેવામાં આવી છે, અને ગુનેગારોને છૂટ આપવામાં આવી રહી છે.’
ભાજપના નેતા અમિત માલવિયાએ પણ મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘દુર્ગાપુરમાં બનેલી ઘટનાથી લોકોમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. તેમણે દુર્ગાપુરમાં મમતા બેનરજી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હોવાના વીડિયો પણ શેર કર્યા. આઇક્યુ સિટી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા ઓડિશાની છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, શુક્રવારે (10 ઓક્ટોબર) રાત્રે 8:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિની તેની ક્લાસમેટ સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. જ્યારે વિદ્યાર્થિની પરત આવી ત્યારે બે-ત્રણ યુવક વચ્ચે આવીને વિદ્યાર્થિની પાસેથી ફોન છીનવી લીધો હતો. જ્યારે અન્ય યુવકે વિદ્યાર્થિની સુનસાન જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ પીડિતાને એજ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પીડિતાનું નિવેદન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પિતાએ ઉઠાવ્યા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો
આ ઘટના બાદ પીડિતાના પિતાએ કોલેજ અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘જો હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા હોત, તો મારી પુત્રી આ સ્થિતિમાં ન હોત.’
આ પણ વાંચો: રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી
રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી મુલાકાત
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય અર્ચના મજુમદારે શનિવારે (11મી ઓક્ટોબર 2025) દુર્ગાપુર મેડિકલ કોલેજ સ્થળની મુલાકાત લીધી હતી. અર્ચના મજુમદારે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘રાજ્યમાં આવા ગુનાઓ વધી રહ્યા છે કારણ કે ગુનેગારોને સજા મળતી નથી.’
સ્વાસ્થ્ય શિક્ષણ નિયામકે રિપોર્ટ માંગ્યો
આ મામલે સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ઈન્દ્રજીત સાહાએ તાત્કાલિક ખાનગી મેડિકલ કોલેજને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે પોલીસ તપાસ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.










