![]()
Modi Government Plans New Delimitation Bill : જ્યારે સંસદમાં લોકસભાની બેઠકોના સીમાંકનને લગતું બિલ લાવવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી જેવા તમામ વિપક્ષી પક્ષોના INDIA ગઠબંધનના 230 સાંસદોએ એક થઈને તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે ONOE (એક દેશ, એક ચૂંટણી) અને સીમાંકન બિલ ટૂંક સમયમાં ફરી એકવાર સંસદમાં રજૂ થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) જેવા મોટા પ્રાદેશિક પક્ષોને તાજેતરમાં મળેલી ચૂંટણી હાર વચ્ચે ભાજપ આ મામલે મોટો પ્લાન ઘડી રહ્યું છે.
2029 પહેલા ONOE લાવવાની સરકારની તૈયારી
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલા ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવું સીમાંકન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે. અગાઉ વિપક્ષનો મુખ્ય વિરોધ એ હતો કે, સરકારે મહિલા અનામત કાયદાને લોકસભાની બેઠકો વધારવાના વિવાદિત મુદ્દા સાથે જોડી દીધો હતો. આ સાથે જ દક્ષિણના રાજ્યોને ડર હતો કે, વસ્તીના આધારે બેઠકો નક્કી થવાથી ઉત્તર ભારતની સરખામણીએ તેમની બેઠકો ઓછી થઈ જશે.
પ્રાદેશિક પક્ષો ભજવશે મોટી ભૂમિકા
તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપના પ્રયાસો તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં હાર બાદ DMK કેટલાક મુદ્દાઓ પર ભાજપ સાથે વાતચીત કરવા તૈયાર હોવાનું જણાય છે. બીજી તરફ, બંગાળમાં હાર બાદ TMCના નેતાઓમાં આંતરિક વિખવાદની અટકળો તેજ થઈ છે, અને કેટલાક સાંસદો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે, તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. સંસદીય સમિતિ(JPC)ના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કાયદામાં ટૂંક સમયમાં સુધારો કરવામાં આવશે અને રિપોર્ટ સમયસર સબમિટ કરી દેવામાં આવશે. રાજ્યવાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આ કાયદો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગુજરાત જેવા રાજ્યો(જ્યાં 2027 માં ચૂંટણી થવાની છે)ના હવાલા સાથે તબક્કાવાર લાગુ કરવામાં આવી શકે છે.
DMKનું વલણ શું છે?
DMKના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ‘સીમાંકન અને એક દેશ, એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર અમારો નિર્ણય તમિલનાડુના હિત અને અધિકારોને જોઈને નક્કી થાય છે. જો કેન્દ્ર સરકાર એવી ખાતરી આપે કે જે રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે, તેમની બેઠકો સંસદમાં ઓછી કરીને તેમને સજા નહીં કરાય, તો આ પ્રસ્તાવને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. સંસદમાં તમિલનાડુનો અવાજ નબળો પડવો જોઈએ નહીં.’ જ્યારે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે સરકારે આ પ્રક્રિયામાં તમામ પક્ષો સાથે યોગ્ય ચર્ચા કરવી પડશે.









