![]()
– દોઢ મહિના બા યુવતી પિયર ગઇ હતી
– પિયર ગયા બાદ યુવતી પરત ન આવતા છેતરાયેલા યુવકે દંપતી સહિત 3 શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
બાલાસિનોર : બાલાસિનોરના બાવલા ગામના યુવકે બીજા લગ્ન માટે વચેટિયાઓ મારફતે રૂ.૨.૫૦ લાખ આપી કન્યા મેળવી હતી. જોકે, લગ્નના માત્ર દોઢ મહિનામાં જ પત્ની પિયર જવાનું કહી પરત ન આવતા અને વચેટિયાઓએ ધમકી આપી હતી. આ મામલે યુવકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધી છે.
તાલુકાના બાવલા ગામે રહેતા રંગીતભાઈ પરમારના પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી તેઓ બીજા લગ્ન કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન ગામના ભાથીભાઈ પરમાર અને ગોરજીના મુવાડાના દંપતી દશરથભાઈ તથા ગીતાબેન ચૌહાણે એક કન્યા બતાવી લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. આ પેટે રંગીતભાઈ પાસેથી લગ્ન અને ખર્ચના નામે કુલ ૨,૫૦,૦૦૦ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જોગણી માતાના મંદિરે રેણુકા નામની યુવતી સાથે ફૂલહાર વિધિ કરી લગ્ન સંપન્ન થયા હતા.
લગ્નના દોઢ મહિના બાદ રેણુકા પિયર ગઈ હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પરત આવી ન હતી. રંગીતભાઈએ જ્યારે પત્નીને તેડવા માટે વચેટિયાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે ગલ્લાતલ્લાં કર્યા હતા. આખરે કંટાળીને યુવકે પોલીસ કેસ કરવાની વાત કરતા દશરથભાઈ અને ભાથીભાઈએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે રંગીતભાઈએ આ ત્રણ શખ્સો વિરુદ્ધ બાલાસિનોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.










