![]()
– 38 જિલ્લાઓમાં કુલ 46 મત ગણતરી કેન્દ્રોની રચના
– રાજદ નેતા સુનીલકુમાર સિંહની ધમકી : 2020ની જેમ મતગણતરી રોકાશે તો સડકો પર નેપાળ જેવી સ્થિતિ સર્જાશેે
પટણા : આવતીકાલે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી આજે રાજયમાં રાજકીય નેતાઓએ ઉંડી ચર્ચા વિચારણા કરી હતી અને અંતિમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આવતીકાલની મત ગણતરી નક્કી કરશે કે રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપનારા નીતીશકુમારને વિક્રમજનક પાંચમી વખત સત્તા મળશે કે નહીં.
રાજદ નેતા અને ઇન્ડિયા ગઠબંધનનાં મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવે જણાવ્યું છે કે તેમના પક્ષનાં કાર્યકરો અને સામાન્ય લોકો મતગણતરી દરમિયાન કોઇ પણ ગેરબંધારણીય પ્રવૃત્તિનો સામનો કરવા માટે તૈયાર છે.
રાજદ નેતા સુનીલકુમાર સિંહે ધમકી આપી છે કે જો ૨૦૨૦ની જેમ મતગણતરી રોકી દેવામાં આવશે તો સડકો પર નેપાળ જેવી સ્થિતિ જોવા મળશે.
બીજી તરફ ભાજપે જણાવ્યું છે કે રાજદ નેતાઓની ટિપ્પણી તેમની નિરાશા દર્શાવે છે કારણકે ઇવીએમમાં મત સીલ કરનાર પ્રજાએ ફરી એક વખત એનડીએને સત્તામાં લાવવાનો નિર્ણય લીધો છે.
૬ અને ૧૧ નવેમ્બરે એમ બે તબક્કામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ વિક્રમજનક ૬૭.૧૩ ટકા મતદાન થયું છે. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ કરવામાં આવશે.
સવારે ૯ વાગ્યાથી ટ્રેન્ડ્સ આવવાનું શરૂ થઇ જશે. રાજ્યનાં ૩૮ જિલ્લાઓમાં કુલ ૪૬ મત ગણતરી કેન્દ્રોની રચના કરવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રો પર ટુ ટાયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
દરેક વિધાનસભા બેઠક માટે એક કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટનાં મતોની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવશે.
ઇવીએમની ગણતરી પૂર્ણ થયા પછી એક વિધાનસભામાં પાંચ મતદાન કેન્દ્રોની પસંદગી કરવામાં આવશે જેની વીવીપીએટી સ્લીપોની ગણતરી કરવામાં આવશે.










