![]()
વડોદરા,ગરબામાં ગયેલો પરિવાર મોડીરાતે ઘરે આવ્યો ત્યારે લૂંટારાઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. ઘર માલિકને તલવારની અણીએ ડરાવી લૂંટારાઓ સોનાના છ તોલા ઉપરાંતના વજનના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાજરાવાડી સુએઝ પંપિંગ રોડ પર સિયારામ નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા અનિકેત શૈલેષભાઇ ચુનારાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી તારીખે રાતે નવ વાગ્યે હું મારા પરિવાર સાથે બરાનપુરા ડભોઇયા ચોકી પાસે ચુનારાવાસના ગરબા જોવા માટે ગયા હતા. રાતે એક વાગ્યે હું મારી પત્ની તથા દાદી સાથે બાઇક પર ઘરે આવવા નીકળ્યો હતો. અમે ઘરે પહોંચ્યા ત્યારે ઘરની બહાર એક સરદારજી જેવો લાગતો શખ્સ મોંઢા પર સફેદ રૃમાલ તથા કાળા કલરનો ઝભ્ભો પહેરીને ઉભો હતો. તેના હાથમાં તલવાર હતી. તે તલવાર લઇને મારા તરફ ધસી આવ્યો હતો. મને તલવાર બતાવી મને બાઇક પાછી લેવાનું કહી ધમકી આપી હતી કે, જો બૂમો પાડી તો તલવાર ફેરવી દઇશ. મેં બાઇક પાછળ લેતા આરોપી પણ તલવાર લઇને મારી સાથે આવ્યો હતો. અંદાજે ૫૦ મીટર દૂર સુધી તે અમને લઇ ગયો હતો. થોડીવાર પછી મારા ઘરમાંથી બે અન્ય લૂંટારાઓ નીકળ્યા હતા. ત્યારબાદ ત્રણેય લૂટારાઓ થોડે દૂર પાર્ક કરેલી બાઇક પર બેસીને ભાગી ગયા હતા. લૂંટારાઓ મારા ઘરમાંથી છ તોલા વજનના દાગીના , બે તોલા વજનની સોનાની લગડી, ચાંદીના દાગીના તેમજ રોકડા ૩ લાખ લૂંટી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સોનોનો એક તોલાનો ભાવ હાલમાં ૧.૧૯ લાખ છે. પરંતુ, પોલીસે સોનાનો ખરીદી સમયનો ભાવ માત્ર ૪૫ હજાર જ ગણ્યો છે.
ઘરનો નકૂચો તોડી લૂંટારાઓ ઘરમાં ઘુસ્યા હતા
વડોદરા,
અનિકેત ચુનારા જણાવ્યું હતું કે, લૂંટારાઓ ભાગી ગયા પછી હું મારા ઘરમાં ગયો ત્યારે ઘરનો નકુચો તૂટેલી હાલતમાં પડયો હતો. ઘરમાં જઇને તપાસ કરતા લૂંટારાઓએ મારા ઘરનો સામાન વેરવિખેર કરી દીધો હતો. તિજોરી ખુલ્લી હતી. તેમાંથી લૂંટારાઓ સોના – ચાંદીના દાગીના અને લગડીઓ લૂંટી ગયા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ
વડોદરા,
લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકી સિકલીગર હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ગાજરાવાડી વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી પોલીસે હાથ ધરી છે. ફરિયાદીના ઘર તરફ આવતા રોડ પરના સીસીટીવીના ફૂટેજ પોલીસ મેળવી રહી છે. આ ઉપરાંત ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતા રીઢા આરોપીઓની પણ તપાસ પોલીસે હાથ ધરી છે.
લૂંટના સ્થળથી ૧૦૦ મીટર દૂર બીજા ઘરમાં પણ ચોરી
વડોદરા,
લૂંટારાઓ ભાગી છૂટયા પછી મકાન માલિકે કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. ભરચક વિસ્તારમાં થયેલી લૂંટના પગલે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસ આ સ્થળે તપાસ કરી રહી હતી. તે સમયે જ લૂંટના સ્થળથી માંડ ૧૦૦ મીટરના અંતરે આવેલા સિયારામ નગરમાં પણ આરોપીઓએ એક ઘરના પણ તાળા તોડયા હતા. જેથી, પોલીસ ત્યાં દોડી ગઇ હતી. જયભાઇ પ્રવિણભાઇના ઘરમાંથી ચોર ટોળકી રોકડા પાંચ હજાર ચોરી ગઇ હતી.










