સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન, પુસ્તકવિમોચન અને ‘वैदिक-युवा-संस्कृत-केन्द्रम्’ની સ્થાપના
ગઢડા : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે ‘संस्कृत-चेतना-युवोत्सवः’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત વિષયના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ગૌરવની ભાવના જાગૃત કરવા તેમજ ભારતીય જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર સંપન્ન થયો હતો.
સંસ્કૃત વિભાગ અને સપ્તધારાના સહિયારા પ્રયાસથી સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષશ્રી ડૉ. વિમળાબેન ચૌધરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય, પ્રાર્થના અને સંસ્કૃત સમૂહગીતથી કરવામાં આવ્યો હતો. મહાવિદ્યાલયમાં પ્રથમવાર સંસ્કૃતને મુખ્ય વિષય તરીકે સ્થાન મળ્યું હોવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના સાથે આશીર્વાદરૂપે સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.
સંસ્કૃત બોર્ડ દ્વારા મહાવિદ્યાલયને પ્રાપ્ત થયેલ સંસ્કૃતકક્ષનું ભવ્ય ઉદ્ઘાટન પણ સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતકક્ષને ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને જ્ઞાનપરંપરાના અભ્યાસનું જીવંત કેન્દ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રીનો પરિચય કોમર્સ વિભાગના ડૉ. હિતેશભાઈ મોરી દ્વારા આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષશ્રી ડૉ. વિમળાબેન ચૌધરી દ્વારા લિખિત પુસ્તક ‘શિવપુરાણમાં જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય’નું વિમોચન મુખ્ય અતિથિશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદય, કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલિયા, સંજયભાઈ ચૌધરી, ડૉ. એચ. એલ. મોરી, ડૉ. એ. ડી. લાણિયા, મહેશભાઈ સોની વગેરે મહાનુભાવોના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વધુ સંપન્ન બને, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત થાય, સંસ્કૃતમાં રહેલા વિશાળ જ્ઞાનભંડારને પ્રાપ્ત કરે, સદ્ગુણોનો વિકાસ કરે તથા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ રાષ્ટ્રકાર્યમાં પોતાની ઊર્જાનો વિનિયોગ કરે તેવા ઉદ્દેશથી ‘वैदिक-युवा-संस्कृत-केन्द्रम्’ ની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્ર મહાવિદ્યાલયથી સમાજપર્યંત પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી ભારતીય જ્ઞાનપરંપરાને ગામડાં સુધી પહોંચાડવા માટે સક્રિય પ્રયાસ કરશે.
મહાવિદ્યાલયના પુસ્તકાલય વિભાગમાં પણ ચંદ્રશકુમાર ચૌહાણ દ્વારા સંસ્કૃત વિષયનાં પુસ્તકોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સંસ્કૃતના વિવિધ ગ્રંથો અને પુસ્તકોનો લાભ લઈ ભારતીય જ્ઞાનપરંપરાના વિવિધ સ્વરૂપોને સમજવાનો અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયે પોતાના પ્રેરણાદાયી અને ધુરંધર વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનું જાગરણ કર્યું હતું. તેમણે ભારતીય જ્ઞાનપરંપરા, સમૃદ્ધિ, વિકાસ અને વિવિધ યોજનાઓના પાયામાં રહેલી સંસ્કૃત ભાષાના મહત્ત્વને વિવિધ ઉદાહરણો દ્વારા ઉજાગર કર્યું હતું. સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો છે તે વાત તેમણે અસરકારક રીતે સમજાવી હતી. તેમના વક્તવ્યથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે નવો ઉત્સાહ, જિજ્ઞાસા અને ગૌરવભાવ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું સુંદર સંચાલન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખાચર મહાવીર અને હિનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સપનાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાવિદ્યાલયમાંથી ડૉ. એ. ડી. લાણિયા, ભાવેશભાઈ, વિવિધ વિભાગોના મુલાકાતી સ્ટાફ, શિક્ષણ વિભાગમાં કાર્યરત સંજયભાઈ ચૌધરી, નૂતન હાઈસ્કૂલનાં સંસ્કૃત શિક્ષિકા છાયાબેન તથા ગઢડા તાલુકાના BRCશ્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહાવિદ્યાલયના સમગ્ર વિદ્યાર્થીમિત્રોના સાથ-સહકારથી અને સંસ્કૃત વિભાગ તથા સપ્તધારાના સંયુક્ત પ્રયાસોથી ‘संस्कृत-चेतना-युवोत्सवः’નો આ ભવ્ય કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતપ્રેમ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રનિર્માણ માટેની નવી ચેતનાનો સંદેશ પ્રબળ રીતે પ્રસર્યો હતો.







