![]()
Tamil Nadu Political News : મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા વિશેષ ડાક ટિકિટ અને સ્મારક સિક્કાનો વિરોધ કર્યો છે. તેમણે આ ઘટનાને દેશ માટે શરમજનક અને દયનીય સ્થિતિ ગણાવી છે.
સ્ટાલિને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
મુખ્યમંત્રી સ્ટાલિને આજે ચેન્નઈમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું કે, ‘ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, જેનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો હતો. ગાંધીજી એવી શક્તિ છે જે આપણને હંમેશા નફરત અને ભાગલા પાડતી તાકાતો સામે લડવાની હિંમત આપે છે.’
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
સ્ટાલિને PM મોદી પર પણ સાધ્યું નિશાન
સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું છે કે, ‘આ દુઃખદ છે કે, દેશ સંભાળનાર વ્યક્તિએ આરએસએસની શતાબ્દી પર વિશેષ ડાક ટિકિટ અને સ્મારક સિક્કો જારી કર્યો છે. આ એ જ સંગઠન છે જેણે સાંપ્રદાયિક વિચારસરણીને જન્મ આપ્યો, જેણે આપણા રાષ્ટ્રપિતાની હત્યા કરી હતી. આ સ્થિતિમાંથી ભારતને બહાર કાઢવાની તમામ નાગરિકોની જવાબદારી છે.’
PM મોદીએ રૂ.100નો સ્મારક સિક્કો જારી કર્યો
વડાપ્રધાન મોદીએ ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ રૂ.100નો સ્મારક સિક્કો જારી કર્યો છે. આ સિક્કા પર વરદ મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી છે. તેમની પાસે એક સિંહ પણ દર્શાવાયેલ છે. સિક્કીની બીજીતરફ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ છે. આ તસવીરમાં આરએસએસના સ્વયંસેવકોને ભારત માતાને નમન કરતા દર્શાવાય છે.
આ પણ વાંચો : ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્રપ્રદેશ એલર્ટ…! સોશિયલ મીડિયા પર નજર રાખવા સમિતિ બનાવી










