![]()
– 12 વર્ષથી કોમામાં રહેલા 32 વર્ષીય યુવક હરીશ રાણાની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાશે
– હરીશના માતા પિતાએ હાર નથી માની પરંતુ પોતાના પુત્રને સ્વમાનભેર જીવવાની છૂટ આપી છે : સુપ્રીમ, ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ પારડીવાલા હરીશ રાણાના વખાણ કરતી વખતે ભાવુક થયા
– 2013માં અભ્યાસ દરમિયાન હોસ્ટેલના ચોથા માળેથી નીચે પટકાતા હરીશ કોમામાં જતો રહ્યો હતો
નવી દિલ્હી : ભારતમાં પ્રથમ વખત ઇચ્છા મૃત્યુનો અમલ થશે, સુપ્રીમ કોર્ટે ૧૨ વર્ષથી કોમામાં રહેલા એક ૩૨ વર્ષીય યુવકને ઇચ્છા મૃત્યુ માટે તેના માતા પિતાની અરજીનો સ્વીકાર કર્યો છે. અને આ યુવકને હાલ જે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે તેને હટાવી લેવાની છૂટ આપી છે, જોકે પ્રથમ વખત કોઇને ઇચ્છામૃત્યુની છૂટ આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે. બી. પારડીવાલા ભાવુક થઇ ગયા હતા.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા ૨૦૧૩માં પંજાબ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા અને ચંડીગઢમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યા હતા, તેઓ એક પેઇંગ ગેસ્ટ હોસ્ટેલના ચોથા માળેથી નીચે પડી ગયા હતા, જેને પગલે તેને ગંભીર ઇજા પહોંચી હતી. ડોક્ટરે તેને ઘટના સમયથી જ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા હતા. ત્યારથી તેઓ શ્વાસ લેવા માટે ટ્રેકિયોસ્ટોમી ટયૂબ અને ભોજન માટે ટયૂબ સાથે પથારીવશ છે. હરીશ રાણા છેલ્લા ૧૨ વર્ષથી સંપૂર્ણ રીતે કૃત્રિમ સારવાર સપોર્ટ સિસ્ટમ પર છે, ડોક્ટરોના રિપોર્ટ મુજબ હરીશ કાયમ માટે વેજિટેટિવ સ્ટેટ પર જતા રહ્યા છે અને હવે ઠીક થવાની કોઇ જ શક્યતાઓ નથી. હરીશનું જીવન હાલ અત્યંત પીડાદાયક સ્થિતિમાં છે.
હરીશના માતા પિતાએ અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં ઇચ્છા મૃત્યુની માગ કરી હતી જેને ફગાવાઇ હતી, જેથી બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુને મંજૂરી આપતી વખતે ચુકાદામાં નોંધ્યું હતું કે ભગવાન કોઇ પણ વ્યક્તિને એ નથી પૂછતા કે શું તેને જીવન સ્વીકાર્ય છે કે નહીં? તમારે જીવનનો સ્વીકાર કરવો જ પડે છે, હેનરીના આ શબ્દો ત્યારે વધુ મહત્વપૂર્ણ થઇ જાય છે જ્યારે કોર્ટો સામે એ સવાલ આવે કે શું કોઇ વ્યક્તિને મૃત્યુ પસંદ કરવાનો અધિકાર છે ? ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું હતું કે પ્રખ્યાત શેક્સપીયરનું એક વાક્ય છે ટુ બી ઓર નોટ ટુ બી, જેનો હવે ન્યાયીક અર્થ થાય છે રાઇટ ટુ ડાઇ એટલે કે મૃત્યુનો અધિકાર.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે. બી. પારડીવાલા, ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની બેંચે આપેલા ચુકાદામાં ભાવુક અવલોકન પણ કર્યું હતું, આવા મામલાઓમાં દર્દી માટે મૃત્યુ યોગ્ય છે કે કેમ તે મુખ્ય સવાલ નથી હોતો પરંતુ એ જોવુ પડે છે કે જીવનને બચાવી રાખવા માટેની સારવાર દર્દીના હિતમાં છે કે નહીં, હરીશ રાણા માત્ર ઉંઘવા જાગવાના ચક્રમાં જ ફસાયેલા છે. ચુકાદો વાંચતી વખતે ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું હતું કે હરીશ રાણા એક સમયે બહુ જ હોશિયાર વિદ્યાર્થી હતા અને મન લગાવીને અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ એક અકસ્માતે તેમની જિંદગીની દિશા જ બદલી નાખી, મામલાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતી વખતે ન્યાયાધીશ પારડીવાલા ભાવુક થઇ ગયા હતા.
હરીશ રાણાના પિતા અશોક રાણા અને તેમની માતાએ ૧૨ વર્ષ સુધી પોતાના પુત્રની દેખરેખ રાખી જેની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી હતી. અને કહ્યું હતું કે પરિવારે હરીશ રાણાનો ક્યારેય સાથ નથી છોડયો. તમે તમારા પુત્રને લઇને હાર નથી માની પરંતુ તમે તમારા પુત્રને સ્વમાનભેર જીવવાની છૂટ આપી રહ્યા છો. આ પહેલા સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં ઇચ્છામૃત્યુને છૂટ આપી હતી. જ્યારે ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની પ્રક્રિયાની ગાઇડલાઇન જાહેર કરી હતી. હવે પ્રથમ વખત કોઇ કેસમાં ઇચ્છામૃત્યુનો અમલ થવા જઇ રહ્યો છે. જોકે ઇચ્છામૃત્યુની સમગ્ર પ્રક્રિયા દરમિયાન દિલ્હી એઇમ્સમાં હરીશ રાણાને લઇ જવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારની દકેદારી સાથે નિષ્ણાતોની ટીમ હરીશ રાણાની લાઇફ સપોર્ટ સિસ્ટમને હટાવશે, સુપ્રીમ કોર્ટે ખાસ નોંધ્યું હતું કે આ પ્રક્રિયા દરમિયાન માનવીય અભિગમ રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હાલ હરીશ રાણાને દિલ્હી એઇમ્સમાં રવાના કરવામાં આવ્યા અને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો છે.
દેશમાં મારા પુત્ર જેવા અનેક : પિતા અશોક રાણા
હરીશ રાણાના પિતા અશોક રાણાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ માત્ર મારા પુત્રનો મામલો નથી પરંતુ દેશમાં આવા અનેક લોકો આ હાલતમાં જીવવા મજબૂર છે. આટલુ કહેતા જ અશોક રાણા ભાવુક થઇ ગયા હતા,તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે તમામ લોકોનું ભલુ થાય, અમારા માટે આ નિર્ણય અત્યંત આકરો હતો.










