![]()
– કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું
– કંપની ઓટોમેશન તરફ વળી : ડિઝાઈન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના વિભાગોમાં અસર
Livspace Lay off News: એઆઈને કારણે વર્ષ 2025માં વૈશ્વિક ધોરણે 55000થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. હવે, આ લિસ્ટમાં ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસ જોડાઈ ગયું છે. તેમણે એઆઈ અપનાવીને લગભગ 1000 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું છે.
લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે છટણી કરવામાં આવી છે. જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોને અસર થઈ છે. છટણી પહેલાં લિવસ્પેસમાં અંદાજે 7000 થી 8000 કર્મચારીઓ કાર્યરત હતા.કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીમાં છટણીનું પગલું ખર્ચ ઘટાડા માટે નહીં પરંતુ કંપનીના લાંબા ગાળાના વિકાસ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. લિવસ્પેસમાં અનેક કામ ઓટોમેશન અને એઆઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
એઆઈના ઉપયોગથી કંપનીમાં ડિઝાઈન આધારિત ૩-ડી વિઝયુલાઈઝેશનનો સમય બચી રહ્યો છે, સેલ્સમાં વોઈસ બોટની સાથે ઓટોમેટેડ લીડ મેનેજમેન્ટનો ઉપયોગ, ઓપરેશન્સમાં પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સપ્લાય ચેઇન માટે પ્રિડિક્ટિવ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે નવા મોડલથી ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ આપવામાં મદદ મળશે.
લિવસ્પેસની છટણી વચ્ચે તેના નાણાકીય પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2025ના નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂપિયા 1460 કરોડ રહી હતી. જે કંપની નફા તરફ વધી રહી હોવાનું જણાવે છે. જાણકારોના મતે, લિવસ્પેસનો નિર્ણય વૈશ્વિક સ્તરે વધી રહેલા ટ્રેન્ડનો હિસ્સો છે. જેમાં, કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે.










