![]()
– કેન્સર ટ્રીટમેન્ટમાં ક્રાંતિ લાવશે
– તે કેન્સર સેલ્સનું મોલેક્યુલ લેવલ પર વિશ્લેષણ કરે છે જેથી, ટ્રીટમેન્ટ વધુ કાર્યક્ષમ અને સસ્તી બનશે
નવી દિલ્હી: ભારતીય સંશોધકોને ઓન્કોલોજી રિસર્ચમાં સફળતા મળી છે. તેમણે એઆઈ ફ્રેમવર્ક ડેવલપ કર્યું છે. જે કેન્સરને વહેલું શોધવામાં મદદ કરે છે. આ નવું ફ્રેમવર્ક કેન્સરની સમયસર તપાસ અને સારવાર કરવા પ્રદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે. કેન્સરની સમયસર તપાસ અને સારવાર માટે ઘણીવાર અનેક ટેસ્ટની જરૂર પડે છે અને તેનો ખર્ચ ખૂબ વધુ આવે છે. સંશોધકોનું માનવું છે કે, ઓન્કોમાર્ક નામની એઆઈ ટૂલ કેન્સરના નિદાનમાં ક્રાંતિ લાવશે.
ઓન્કોમાર્ક એઆઈ પાવર્ડ સિસ્ટમ છે. જે ટયુમર કેટલું આક્રમક છે, તે કેટલું દૂર સુધી ફેલાઈ શકે છે તેનું મૂલ્યાંકન કરે છે. આ માટે તે કેન્સર સેલ્સનું મોલેક્યુલ લેવલે વિશ્લેષણ કરે છે. જેના કારણે પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને સસ્તી બને છે. રિસર્ચ ટીમના વડાએ જણાવ્યું કે, ઓન્કોમાર્ક નામની ટૂલ ડોક્ટરોને નિદાન સમયે કેન્સરનો તબક્કો નક્કી કરવામાં અને દર્દી માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ડિઝાઈન કરવામાં મદદ કરે છે.
આ માટે ૧૪ પ્રકારના કેન્સરનો ડેટા સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવ્યો છે. દર્દીના સેમ્પલ્સ અને ડાયગ્નોસ્ટિકના રિઝલ્ટના આધારે સિસ્ટમ કેન્સરના પ્રકાર અને તેની આક્રમકતાના સ્તરને ઓળખવા માટે વિગતવાર વિશ્લેષણ કરે છે. સિસ્ટમનો મુખ્ય ભાગ તેની ટ્રાન્સક્રિપ્ટોમિક ડેટા એનાલિસીસ છે. ઓન્કોમાર્કે આંતરિક પરીક્ષણમાં ૯૯ ટકા ચોકસાઈ પ્રાપ્ત કરી હતી. આ રિસર્ચને કોમ્યુનિકેશન્સ બાયોલોજી જર્નલમાં ઓન્કોમાર્ક ઃ ધ હાઈ-થુ્રપુટ ન્યુરલ મલ્ટી-ટાસ્ક લર્નિંગ ફ્રેમવર્ક ફોર કોમ્પ્રીહેન્સિવ કેન્સર હોલમાર્ક ક્વોલિફિકેશન નામે પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચને ભારત સરકારના વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલય તરફથી પણ માન્યતા મળી છે.










