![]()
India Pakistan Import Scam : પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી ગઈ છે, જોકે આ ઘટના ક્રમ વચ્ચે સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડને ઈમ્પોર્ટ સ્કેમ નામ અપાઈ રહ્યું છે અને એક રિપોર્ટમાં તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી સીધો વેપાર બંધ છે, છતાં ભારતનો સામાન અન્ય દેશો દ્વારા પાકિસ્તાન પહોંચી રહ્યો છે. આ કૌભાંડ 10 બિલિયન ડૉલર એટલે કે 85 હજાર કરોડ રૂપિયાથી વધુનું હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્થિક થિંક ટેંક GTRIના રિપોર્ટમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે.
કેવી રીતે થઈ રહ્યું છે કૌભાંડ?
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, દર વર્ષે ભારતમાંથી 10 અબજ ડોલરથી વધુનો સામાન દુબઈ, સિંગાપોર અને કોલંબો જેવા બંદરો દ્વારા પરોક્ષ રીતે પાકિસ્તાન પહોંચી રહ્યો છે. જીટીઆરઆઈએ કહ્યું કે, ‘ભારતીય કંપનીઓ આ પોર્ટો પર સામાન મોકલે છે. ત્યાં એક સ્વતંત્ર કંપની જથ્થો ઉતારે છે અને તેને બૉન્ડેડ વેરહાઉસમાં રાખે છે. અહીં ટ્રાન્ઝિટ (પરિવહન) દરમિયાન ડ્યુટી ચૂકવ્યા વિના સામાન રાખી શકાય છે. ત્યારબાદ સામાન પર લાગેલા લેબલ અને ડોક્યુમેન્ટ મૂળ દેશોથી અલગ દેખાય તે માટે તેમાં ફેરફાર કરવામાં આવે છે. પછી એવું લાગે છે કે, સામાન કોઈ ત્રીજા દેશથી આવ્યો છે અને પછી તેને ઊંચી કિંમતે વેચવામાં આવે છે.
વેપાર ચાલુ રાખવા વેપારીઓની અવનવી રીત
જીટીઆરઆઈના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે કહ્યું કે, ‘આ પ્રક્રિયા ગેરકાયદેસર નથી, પરંતુ ગેરમાર્ગે દોરવા જેવી છે. આવી રીત બતાવે છે કે, વેપારીઓ વેપાર ચાલુ રાખવા માટે કેવી અવનવી રીતો શોધે છે. જીટીઆરઆઈના અંદાજ મુજબ આવી રીતથી દર વર્ષે 10 અબજ અમેરિકી ડૉલરથી વધુનો સામાન ભારતથી પાકિસ્તાન પહોંચે છે. એજન્સીના રિપોર્ટ મુજબ, એપ્રિલ-જાન્યુઆરી 2024-25માં ભારતે પાકિસ્તાનમાં 447.65 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે બંને દેશોનો વેપાર અટકી ગયો છે. પાકિસ્તાને પણ ભારત સાથે તમામ વેપારી સંબંધો સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
સરકારે શરૂ કરી તપાસ
સરકાર ત્રીજા દેશો દ્વારા પાકિસ્તાનમાં ભારતીય માલની પરોક્ષ નિકાસનું પ્રમાણ નક્કી કરવા માટે ડેટા એકત્રિત કરી રહી છે. સૂત્રોએ આ માહિતી આપવાની સાથે કહ્યું કે, સરકારના આવા પગલાનો ઉદ્દેશ્ય પડોશી દેશ સુધી સામાનને અટકાવવાનો છે. તેમણે કહ્યું કે, હુમલા બાદ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે, જેને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર ઉદ્યોગો સાથે મળીને હવાઈ માર્ગ દ્વારા સામાન પહોંચાડવાનો વૈકલ્પિક માર્ગ પર વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાની સેનાએ PoKમાં આતંકવાદીઓના લોન્ચ પેડ ખાલી કરાવ્યાના અહેવાલ, બંકરોમાં છુપાયા










