![]()
– જેસરમાં મોડીસાંજ બાદ પા ઈંચ પાણી વરસ્યું
– તળાજા પંથકમાં 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી જ પાણી
ભાવનગર/તળાજા : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજા પંથકમાં એક ઈંચ, જેસરમાં પા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં રાત્રિના સમયે ધીમીધારે છાંટા પડયા હતા.
મહુવામાં આજે પણ મેઘરાજાનો અતિરેક જારી રહ્યો હતો. વહેલી સવારથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સમયાંતરે વરસેલા વરસાદના પગલે એક ઈંચ જેટલું પાણી ખાબકી ગયું હતું. જેસરમાં સાંજે ૪થી ૬ વચ્ચે પા ઈંચ જેટલું (પાંચ મિ.મી.) પાણી વરસ્યું હતું.
તળાજામાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ વચ્ચે સવારથી રાત્રિ સુધીમાં એક ઈંચથી વધુ (૨૮ મિ.મી.) વરસાદ ખાબકી ગયો હતો. તળાજા પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાક લહેરાવાના બદલે જ્યાં નજર પડે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
શેત્રુંજી ડેમના 10 દરવાજા બંધ કરાયા
શેત્રુંજી ડેમમાં આજે સાંજે ૬ કલાકે ૧૮૦૦ ક્યુસેકમાંથી પાણીની આવક ઘટીને અર્ધી થતાં ૧૦ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ૧૦ દરવાજા ખુલ્લા રાખી ૯૦૦ ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ છે. આ ઉપરાંત રજાવળમાં ૪૨, ખારોમાં ૮૪, માલણમાં ૨૯૯, હમીરપરામાં ૧૧૧૮, પીંગળીમાં ૧૦૬, બગડમાં ૧૦૯૪ અને રોજકીમાં ૧૦૮૧ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. આજે માલણ ડેમ વિસ્તારમાં ૨૫ મિ.મી., પીંગળી, બગડ અને જસપરા (માંડવા)માં ૦૫-૦૫ મિ.મી. તેમજ રોજકી ડેમ વિસ્તારમાં ૧૫ મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં સાતમાં દિવસે વરસાદ વરસ્યો
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ શરૂ રહ્યો છે. આજે શુક્રવારે ફરી બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ધારતરવડી ડેમ નં.૧ ઓવરફ્લો થતાં ધાતરવાડી-૨માં પુષ્કળ પાણી આવતા સાંજે ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ભચાદર, કોવાયા, રામપરા સહિતના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા. ધાતરવડી નદી બે કાંઠે વહી હતી.










