મીરાં કુંજ ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ‘વિજય વિશ્વાસ બેઠક’ – કાર્યકરોમાં જંગી ઉત્સાહ
ભાવનગરમાં સોલંકી ફેક્ટર સક્રિય, ભાજપના વિજય અભિયાનને મળી ગતિ
ભાવનગર, તા. ૨૩:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાવનગરમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. રાજ્યના દિગ્ગજ નેતા અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના આગમન સાથે શહેરમાં સોલંકીનો દબદબો વધુ મજબૂત બન્યો છે, જેના કારણે ભાજપનું ચૂંટણી અભિયાન હવે સંપૂર્ણ ગતિમાં આવી ગયું છે. તેમના પ્રભાવથી ભાજપ કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે, જ્યારે વિરોધી પક્ષોમાં ચિંતા અને ગૂંચવણનો માહોલ સર્જાયો છે.
આજે મીરાં કુંજ ખાતે યોજાયેલી ‘વિજય વિશ્વાસ બેઠક’ ભાજપ માટે શક્તિપ્રદર્શન સમાન સાબિત થઈ હતી. બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા-તાલુકા સંગઠન, શહેરના આગેવાનો તેમજ વોર્ડ અને પંચાયત સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં સોલંકીનો દબદબો અને નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ વિકાસ, પારદર્શિતા અને જનકલ્યાણના એજન્ડા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, “દરેક બૂથ પર ભાજપનો વિજય નિશ્ચિત બનાવવો અને તમામ ઉમેદવારોને ભવ્ય જીત અપાવવી તે માટે સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરવું.”
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોના આધારે લોકોનો વિશ્વાસ ભાજપ તરફ વધુ મજબૂત બન્યો છે, અને આ વિશ્વાસને મતમાં પરિવર્તિત કરવો એ જ કાર્યકરોનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા,જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખશ્રી કૃણાલભાઈ શાહ,ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ, સંગઠનની એકતા અને જીત પ્રત્યેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો.










