![]()
– સાબરમતી સ્ટેશન પર ચાલતા નિર્માણ કાર્યને કારણે
– 16 મી ડિસેમ્બરથી ગાંધીગ્રામ-સાબરમતી સેક્શનમાં ટ્રેનનું સંચાલન સ્થગિત કરવા નિર્ણય લેવાયો
ભાવનગર : ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેનને આગામી ૧૬મી ડિસેમ્બરથી છ માસ માટે આંશિક રીતે કેન્સલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને બ્લોક લેવામાં આવતા હોવાથી રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવાની મંજૂરી અપાઈ છે. જેના કારણે તા.૧૬-૧૨થી તા.૧૫-૬ સુધી આ ટ્રેનનું સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે. ગાંધીગ્રામ-સાબરમતી-ગાંધીગ્રામ સેક્શનમાં ટ્રેનનું સંચાલન સ્થગિત રહેશે તેમ ભાવનગર રેલવે મંડળના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.










