![]()
Bhopal Road Accident: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતીય નેવીના બે જવાનોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક જવાન એશિયા કપના ગોલ્ડ મેડલ વિજેતા પણ હતો. અહેવાલો અનુસાર, એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારીને લગભગ 20 મીટર સુધી ઘસડી હતી.
ગોલ્ડ મેડલિસ્ટ વિષ્ણુ સહિત બે જવાનોના મૃત્યુ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ વિષ્ણુ આર્ય રઘુનાથ અને આનંદ કૃષ્ણન તરીકે થઈ છે. બંને જવાનો કેરળના અલાપ્પુઝાના રહેવાસી હતા અને કોચી સ્થિત નેવલ બેઝ પર તહેનાત હતા. વિષ્ણુ આર્ય રઘુનાથ એશિયા કપમાં ગોલ્ડ મેડલ વિજેતા હતો. પરાવલીયા
ટ્રકે ટક્કર મારી હોવાની શંકા
પોલીસ સ્ટેશન અધિકારી રોહિત નાગરના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે બંને મિત્રો સાથે ભોપાલ-ઇન્દોર હાઇવે પર એક ઢાબા પર જમવા ગયા હતા. આ અકસ્માત રવિવારની વહેલી સવારે લગભગ 3 વાગ્યે મુબારકપુર ટોલ અને રક્ષા વિહાર કોલોની વચ્ચે થયો હતો. FRV (ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ)ને અકસ્માતની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં, એવું લાગતું હતું કે તેમની સ્પોર્ટ્સ બાઇક કાબૂ ગુમાવવાથી રસ્તાની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ હશે. જો કે, બાઇકના પાછળના ભાગમાં થયેલા મોટા નુકસાન અને બાઇક ઘસડાઈ હોવાના નિશાનને કારણે પોલીસે ઝડપી ભારે વાહન (ટ્રક) સાથે અથડામણ થઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
બંને જવાનોના મૃતદેહ સોમવારે (10 નવેમ્બર) દિલ્હી પહોંચશે અને ત્યારબાદ તેમના વતન કેરળના અલાપ્પુઝા સ્થિત તેમના ઘરે અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવશે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર વાહનની શોધખોળ શરૂ કરી છે.










