![]()
– બોરસદના કાલુ ગામમાં અવસાન પામેલા 3 વ્યક્તિની ખોટી હાજરી ભરાઈ
– સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીનો આદેશ છતાં હજૂ ફરિયાદ નહીં નોંધીને પોલીસનું તપાસનું રટણ
આણંદ : બોરસદ તાલુકાના કાલુ ગામમાં મનરેગા યોજનામાં અવસાન પામેલા વ્યક્તિઓના જોબકાર્ડ બનાવીને નાણાકીય ગેરરીતિ આચરવા ખોટી હાજરી પૂરી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. છતાં હજૂ સુધી ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ તપાસનું રટણ કરી રહી છે. જ્યારે નાયબ પોલીસ અધિક્ષકે ફરિયાદ ન નોંધાતા કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બોરસદ તાલુકાના કાલુ ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હેતલબહેન એન. શર્માએ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ વીરસદ પોલીસ મથકે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા. ૩૦-૯-૨૦૨૩ અને ૨૦-૯-૨૦૨૪ના તપાસ અહેવાલ મુજબ, કાલુ ગામના રમણભાઈ ફતાભાઈ પરમારનું તા. ૮-૫-૨૦૧૮ના રોજ અવસાન થયું હોવા છતાં તેમની છ દિવસની ખોટી હાજરી ભરી મે-૨૦૨૦માં રૂા. ૧,૨૬૫ ચૂકવાયા હતા. તે જ રીતે હિંમતભાઈ ઉદાભાઈ પરમાર ૧૧-૪-૨૦૧૭ અને તેમના પુત્ર ચંદુભાઈ હિંમતભાઈ પરમાર ૨૧-૭-૨૦૧૭માં અવસાન પામ્યા હતા. છતાં અનુક્રમે છ અને સાત દિવસની ખોટી હાજરી ભરી કુલ રૂા. ૪,૯૮૮ ચૂકવણી કરી નાણાકીય ગેરરીતિ આચરાઈ હતી. જે બાબતે તત્કાલિન મેટ સંજય વિનુભાઈ પરમાર (કાલુ ગામ) તથા જીઆરએસ પંકજ ગણપતસિંહ સોલંકી (બદલપુર) સહિત અન્ય જવાબદાર સામે કાનૂની કેસ દાખલ કરવા લેખિત જાણ કરાઈ હતી. આ અંગે અરજદારની રજૂઆત બાદ ખંભાત નાયબ પોલીસ અધિક્ષકે વીરસદ પોલીસને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અહેવાલ મંગાવ્યો હતો અને હુકમ પણ કર્યો હતો. જેને ૧૫ દિવસ થવા છતાં હજૂ ફરિયાદ દાખલ કરાઈ નથી.આ અંગે વીરસદ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ વસાવાએ જણાવ્યું હતું કે, રજૂઆત સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. પુરાવાની તપાસ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
ઉધડો લઈ મુખ્યમંત્રીનો આદેશ છતાં ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા
કાલુ ગામમાં મનરેગા હેઠળ ગેરરીતિ અંગે સ્થાનિક વહીવટી તંત્રએ જવાબ ન આપતા મહિના અગાઉ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ રજૂઆતો કરતા મુખ્યમંત્રીએ પણ આ બાબતે ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં તાલુકા કક્ષાએથી ફરિયાદની કામગીરી શરૂ થઈ હતી.
દબાણ હેઠળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ
મનરેગાની ગેરરીતિ સંદર્ભે અગાઉ બોરસદ તાલુકાના ઉચ્ચ અધિકારીની રાજકીય નેતાના ઈશારે રાતોરાત બદલી થઈ ગઈ હતી. કૌભાંડ પર પડદો પાડવા રજૂ દબાણ હેઠળ વીરસદ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.










