![]()
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રવિવારે વક્ફ (સુધારા) કાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, ‘જો ઈન્ડિયા બ્લોક સત્તામાં આવશે તો વક્ફ (સંશોધન) કાયદાને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે.
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કટિહાર જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતાએ આરોપ લગાવ્યો કે તેમના પિતા અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવે ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે હંમેશા આવી શક્તિઓને ટેકો આપ્યો છે, જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સહયોગીઓ રાજ્ય અને દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને “ભારત જલાઓ પાર્ટી” ગણાવી અને કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો તેનો સાંપ્રદાયિક એજન્ડા વધુ તીવ્ર બનશે.
વક્ફ કાયદાને કચરાપેટીમાં ફેંકી દઈશું: તેજસ્વી
તેજસ્વીએ કહ્યું, ‘જો ‘I.N.D.I.A.’ ગઠબંધન સત્તામાં આવશે, તો અમે વક્ફ કાયદાને કચરાપેટીમાં ફેંકી દઈશું.” ઉલ્લેખનીય છે કે શનિવારે આરજેડીના એમએલસી મોહમ્મદ કારી સોહેબે કહ્યું હતું કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનતાની સાથે જ “વક્ફ બિલ સહિત તમામ બિલ ફાડી નાખવામાં આવશે”. ભાજપે આ નિવેદન પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્રીય કાયદાઓ કેવી રીતે બદલી શકે છે.
જણાવી દઈએ કે, વક્ફ (સુધારા) કાયદો એપ્રિલમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. શાસક પક્ષે તેને પછાત મુસ્લિમો અને સમુદાયની મહિલાઓ માટે પારદર્શિતા અને સશક્તિકરણનું માધ્યમ ગણાવ્યું છે, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તે મુસ્લિમોના અધિકારોને અસર કરે છે.
તેજસ્વી યાદવે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપો
તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે લોકો 20 વર્ષ જૂની સરકારથી કંટાળી ગયા છે અને “મુખ્યમંત્રી હોશમાં નથી.” તેમણે દાવો કર્યો કે રાજ્યના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે અને કાયદો અને વ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે. સીમાંચલ પ્રદેશ અંગે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે NDA સરકારે પ્રદેશના વિકાસ માટે કંઈ કર્યું નથી અને જો ‘I.N.D.I.A.’ ગઠબંધન સત્તામાં આવશે તો સીમાંચલ વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે NDA સરકાર તેમના ચૂંટણી વચનોની નકલ કરી રહી છે.










