![]()
– પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
– આપઘાત કરનાર યુવક કઠલાલ તાલુકાના પોરડા ગામનો અસ્થિર મગજનો હોવાની ઓળખ થઈ
નડિયાદ,ડાકોર : મહુધા તાલુકાના કપરૂપુર ગામની સીમમાં મહોર નદી કાંઠે આવેલા ઝાડ પર ગળેફાંસો ખાધેલી યુવકની લાશ મળી આવી હતી. આ આપઘાત કરનાર યુવક પોરડા ભાટેરાનો અસ્થિર મગજનો યુવક હોવાની ઓળખ થવા પામી છે. આ બનાવ અંગે મહુધા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધા તાલુકાના કપરૂપુર તાબે જગા બારૈયાની મુવાડી સીમમાં ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા. ત્યારે ભારે દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુ તપાસ કરતા મહોર નદીના કિનારે આવેલ કણજના ઝાડની ડાળ સાથે શર્ટ બાંધી ગળેફાંસો ખાધેલી યુવકની લાશ લટકતી જોવા મળી હતી. આ બનાવની જાણ થતા મહુધા પોલીસ તેમજ લોકોના ટોળાં સ્થળે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ઝાડની ડાળ ઉપર લટકતી લાશને નીચે ઉતારી હતી. આ દરમિયાન લાશ કઠલાલ તાલુકાના પોરડાનો કેલીયાભાઈ પ્રવીણભાઈ પરમાર (ઉં. વ.૩૫થી ૪૦)ની હોવાની ઓળખ થઈ હતી. આ યુવક અસ્થિર મગજનો હોવાથી અવારનવાર ઘરેથી નીકળી જતો હોવાનું તેમજ યુવક ત્રણેક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પત્ની અને ત્રણ સંતાનો ધરાવતા યુવકે અસ્થિર મગજના કારણે કે અન્ય કોઈ કારણોસર આપઘાત કર્યો હોય તેવું જાણવા મળેલ નથી. આ બનાવ અંગે નિલેશકુમાર પ્રતાપભાઈ સોઢાએ મહુધા પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.










