![]()
તલાટીએ ઇ-મેઇલથી સિવિલ સર્જનનું સર્ટિ. રજૂ કર્યું પણ ધ્યાને ન લીધું
અકસ્માતમાં ગંભીર ઇજા અને સર્જરીના મેડિકલ પુરાવા અવગણી છૂટા કરવાનો ગેરકાયદે આદેશ કર્યો હતો : ટીડીઓનો આદેશ નિયમની વિરૂદ્વ હતો, તલાટીને ફરજ પર ફરી હાજર થવા આદેશ : ડીડીઓ
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટી કમ મંત્રીને ફરજ પરથી છૂટા કરવાનો આદેશને રદ કર્યો છે. લાંબા સમયથી મેડિકલ રજા પર હોવાથી મહિલા તલાટીના કેસમાં જિલ્લા પંચાયતે અવલોકન કર્યું છે કે, ટીડીઓ પાસે તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીને છૂટા કરવાની સત્તા જ નથી. તલાટીએ ઇ-મેઇલથી રજૂ કરેલું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ પણ ટીડીઓએ ધ્યાને લીધું નથી. ટીડીઓના મનમાનીભર્યા અને નિયમ વિરૂદ્ધના નિર્ણયને ડીડીઓના આદેશથી રદ કરીને તલાટીને ફરી ફરજ પર હાજર થવાનો આદેશ કરાયો છે.
ખેડાના મહુધા તાલુકા પંચાયતમાં ફરજ ફરજતા તલાટી કમ મંત્રી નઝરાના મુલતાનીને મહુધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિ દેસાઇ દ્વારા એકતરફી છૂટા કરી દેવાનો વિવાદ વકર્યો હતો. ટીડીઓ જ્યોતિ દેસાઇ દ્વારા ૧૦.૧૧.૨૦૨૫ના રોજ હુકમ કરીને મુલતાનેને તેમની કચેરીમાંથી જિલ્લા કચેરી ખાતે હાજર થવા માટે એકતરફી છૂટા કરવામાં આવ્યા હતા.
ટીડીઓએ કાર્યવાહીનું કારણે આપ્યું હતુ કે, તલાટી મુલતાની માંદગીનં કારણે દર્શાવી વારંવાર રજા લેવા ટેવાયેલા છે. વધુમાં તેઓએ ફરજ પર ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી છે. જેના કારણે ગ્રામ પંચાયત ખૂંટજની કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.
બાદમાં આ વિવાદ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો હતો. આ કેસમાં ડીડીઓએ તારણ કાઢ્યું કે, ટીડીઓનો હુકમ નિયમની વિરૂદ્વ હતો. તલાટી નઝરાના મુલતાનીએ ખુલાસો રજૂ કર્યો હતો કે, ત્રણ મહિના પહેલા તેઓ અકસ્માત થયો હતો.
પગમાં ગંભીર ઇજા થતાં ડોક્ટરના માર્ગદર્શન બાદ ૧૦.૯.૨૦૨૫ના રોજ રાજકોટમાં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ડોક્ટરે ૪૫ દિવસના સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. આ કારણે જ તેઓ ફરજ હાજર થઇ શક્યા ન હતા. લેખિત રિપોર્ટ પણ કરી શક્યા ન હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ નોંધ્યુ છે કે, તલાટીના પતિ દ્વારા ૩૧.૧૦.૨૦૨૫ના રોજ ઇ-મેઇલથી રાજકોટ સિવિલ હોસ્પિટલનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યુ હતું. પરંતુ ટીડીઓ જ્યોતિ દેસાઇએ તલાટીને છૂટા કરતા પહેલા સિવિલ સર્જનના પ્રમાણપત્રને નજરઅંદાજ કર્યુ હતું.
ટીડીઓએ આક્ષેપ કર્યો છે કે, તલાટીએ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કર્યું નથી. પરંતુ જિલ્લા પંચાયતે સ્પષ્ટ કર્યું કે, રજિસ્ર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રમાણપત્રના આધારે પણ મેડિકલ રજા મંજૂર કરી શકાય છે. વળી અગાઉ તલાટીએ સોલા સિવિલ અમદાવાદનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. ટીડીઓ દ્વારા તલાટીને ગેરકાયદે રીતે છૂટા કરી દેવા આદેશ કર્યો હતો. જે આદેશના મૂળ અસરથી રદ કરવાનો આદેશ ડીડીઓેએ કર્યો છે.
– ટીડીઓને તલાટીને છૂટા કરવાની સત્તા જ નથી : ડીડીઓ
જિલ્લા પંચાયતના હુકમથી મહુધા ટીડીઓ જ્યોતિ દેસાઈની મનમાની સામે આવી છે. જિલ્લા પંચાયતે નોંધ લીધી કે, તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીની નિમણૂક સત્તાધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે અને કચેરીના વડા જિલ્લા વિકાસ અધિકારી છે. આ સંજોગોમાં, તાલુકા વિકાસ અધિકારીને તલાટી કમ મંત્રીને એકતરફી છૂટા કરવાની કોઈ સત્તા કાયદાકીય રીતે પહોંચતી જ નથી. ટીડીઓએ સત્તા બહાર જઈને અને નિયમોને નેવે મૂકીને જે હુકમ કર્યો હતો, તેને જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી તાત્કાલિક અસરથી રદ્દ કરવો પડયો છે.
– તલાટીઓ ફરજ લેવા માટે પણ તૈયાર નથી
મહુધા તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે જ્યોતિ દેસાઈને પરત ફરજ સોંપ્યા બાદ મહુધા તાલુકાના ગામોમાં તલાટીઓ ફરજ બજાવવા તૈયાર નથી અને ફરજ લેવા તૈયાર નથી. ટીડીઓના વર્તન અને આપખુદશાહી વર્તનના પરીણામે આખા જિલ્લામાં તલાટીઓના મહેકમની સૌથી વધુ ઘટ્ટ મહુધા તાલુકામાં છે.
– ગળતેશ્વરના કોસમમાં એસઆઇઆરની 70 ટકા જેટલી કામગીરી સંપન્ન થઇ
ઠાસરા: ગલતેશ્વર તાલુકાના કોસમ ગામની પ્રાથમિક શાળામાં સપ્તાહથી મતદાર યાદી સુધાણા ઝુબેશ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. જેમાં કોસમ બુથમાં ૧૨૮૮ મતદારો છે. જેમાં મતદારોના ફોર્મ ભરવાની ૭૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. હવે બાકી ૩૦ ટકા માટે ફોર્મ ભરવા સહિત ઓનલાઇનની કામગીરી ચાલી રહી છે. ફોર્મ આપ્યા બાદ ભરીને આપવામાં હજુ સુધી નહી આપતા મુશ્કેલી પડી રહી છે. શાળાના પરિસરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.










