![]()
ગઈકાલે સાંજે માંડવા મુલદ ટોલનાકાથી ભરૂચ તરફના નેશનલ હાઇવે નં. 48 ઉપર ટોલનાકા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે મૃતકના પરિવારજનો પહોંચતા મૃતક ભરૂચના ઝાડેશ્વરનો રહેવાસી હોય માંડવા મુલદ ટોલનાકા ખાતે નોકરી કરતો 21 વર્ષીય રિતેશ સોમાભાઈ પાટણવાડીયા હોવાનું બહાર આવ્યું હતું. રિતેશ ટોલનાકા ઉપરથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહનના પૈડા રિતેશના માથાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેની શોધખોળ શરૂ કરી છે.










