![]()
– નડિયાદ અને ખેડા જિલ્લામાં મતદાર યાદીમાંથી હજારો નામો કમી થતા લઘુમતી સમાજમાં રોષ
– કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ : ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ફોર્મ 7 ભરીને વાંધા ઉઠાવ્યા છતા તંત્રએ કોઈ પણ ચકાસણી કર્યા વગર મતાધિકાર પર તરાપ માર્યોના આક્ષેપ
નડિયાદ : ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ થયેલી યાદીમાં લઘુમતી સમાજના હજારો મતદારોના નામ કોઈપણ પૂર્વ જાણકારી વગર કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી મોટો વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને માતર વિધાનસભા હેઠળના રતનપુર અને આસપાસના ગામોમાં વ્યવસ્થિત ષડ્યંત્રના રચીને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વાંધા અરજીઓ અપાવીને નામો કમી કરાવાયા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.
ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા આગેવાનો અને સામાજિક કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત ૩૦ જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ ૫ ફેબુ્રઆરીના રોજ જ્યારે આખરી વિગતો સામે આવી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. માતર વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧૨,૫૦૦ જેટલા મતો કાઢી નાખવામાં આવ્યા છે. જેમાં રતનપુર ગામમાં ૧૪૦૦, સંધારણામાં ૬૦૦ અને મેલેજમાં ૯૦૦ જેટલા મતોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં સૌથી ગંભીર બાબત એ છે કે, જે લોકો વર્ષોેથી ત્યાં રહે છે અને જેમના પરિવારના સભ્યો પંચાયતના પ્રતિનિધિઓ છે, તેમના નામ પણ ગાયબ છે. બીએલઓ દ્વારા ત્રણ મહિના સુધી ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી મહેનત બાદ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ફોર્મ નંબર ૭ ભરીને સામૂહિક રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ વાંધા રજૂ કરનારા લોકો તે ગામના પણ નથી, છતાં તંત્રએ કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર હજારો લોકોના મતાધિકાર પર તરાપ મારી છે, તેવો આક્ષેપ કરાયો છે. આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને કસૂરવારો સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બહારના લોકોએ રતનપુરના મતદારો સામે વાંધા ઉઠાવ્યા
રતનપુર ગામના ૫ વોર્ડના કુલ ૫૦૬ મતદારોના નામો કમી કરવા માટે ફોર્મ નંબર ૭ ભરીને વાંધા રજૂ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, આ વાંધા રજૂ કરનાર વ્યક્તિઓ રતનપુરના નાગરિકો નથી પરંતુ સોખડા, રઘુ, સાયલા અને બામણગામ જેવા અન્ય ગામોના રહેવાસી છે. જે લોકો રતનપુરની ભૌગોલિક સ્થિતિથી વાકેફ નથી તેમણે કયા આધારે આટલી મોટી સંખ્યામાં વાંધા રજૂ કર્યા તે તપાસનો વિષય છે. આ ત્રાહિત્ વ્યક્તિઓએ તંત્રને ગેરમાર્ગે દોરી ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો પણ આવેદનમાં ઉલ્લેખ છે.
વર્ષ 2002 થી નોંધાયેલા મતદારોના નામ પણ કમી
ચૂંટણી પંચના આદેશ મુજબ કોઈપણ આધાર વગર રજૂ કરાયેલા વાંધા તાત્કાલિક રદ કરવાના હોય છે, તેમ છતાં રતનપુરમાં વર્ષ ૨૦૦૨થી જેમના નામ યાદીમાં હતા તેવા કાયદેસરના મતદારોના નામ પણ કમી કરી દેવાયા છે, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન પોર્ટલનો દૂરુપયોગ કરીને ખોટી રીતે ફોર્મ ભરી સરકારી તંત્ર પર કામનું ભારણ વધારવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ રાજકીય ઈશારે કે હોદ્દેદારોના દબાણ હેઠળ કામગીરી થઈ હોવાની શંકા વ્યક્ત કરી ચૂંટણી અધિકારીને તટસ્થ તપાસ કરવા વિનંતી કરાઈ છે.
પૂર્વ પ્રમુખ અને સરપંચોના પરિવારના નામ ગાયબ
વહીવટી તંત્રની બેદરકારીની ચર્ચાઓ ત્યારે થાય છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવારના સભ્યો જ મતાધિકારથી વંચિત રહી ગયા. માતરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અયુબખાન પઠાણના બૂથમાં જ ૩૧૭ નામો કમી થયા છે. આ ઉપરાંત વર્તમાન સરપંચ અને પૂર્વ ઇન્ચાર્જ સરપંચોના પરિવારના નામ પણ યાદીમાંથી બાકાત છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર વહીવટી ભૂલ નથી પરંતુ એક ચોક્કસ વર્ગના મતો ઘટાડવા માટેનું સુનિયોજિત ષડ્યંત્ર છે, જેમાં તંત્રના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાય છે.










