Jaisalmer Bus Fire Broke: મહેન્દ્ર મેઘવાલ તેની પત્ની અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવા ઘરે જઈ રહ્યો હતો, પણ આ પરિવારને ખબર નહોતી કે આ તેમની છેલ્લી સફર હશે. તેઓ ખુશીથી પત્ની પાર્વતી સાથે દિવાળીનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ બસ દુર્ઘટનાએ તેમના સપના ચકનાચૂર કરી નાખ્યા. મહેન્દ્ર જેસલમેરથી ઘરે જવા નીકળ્યો હતો. તેની માતા તેના પૌત્ર-પૌત્રીઓની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ રસ્તામાં જ આ પરિવાર બસમાં લાગેલી આગની ઝપેટમાં તબાહ થયો હતો. દિવાળી તહેવાર તમામ માટે શોકમાં ફેરવાયો હતો. આ દુર્ઘટનામાં મહેન્દ્રનો આખો પરિવાર સહિત 20 લોકો મૃત્યુ પામ્યા હતાં.
વૃદ્ધ માતાને ભારે આઘાત લાગ્યો
મહેન્દ્રની વૃદ્ધ માતાની આંખો રડીને રડીને સુકાઈ ગઈ છે. તે સતત દરવાજા તરફ જોઈ પોતાના પુત્ર-પુત્રવધુ અને તેના કુમળા બાળકોની રાહ જોઈ રહી છે. તેઓ હવે ક્યારેય પાછા નહીં ફરે, આ આઘાત તેના માટે અસહ્ય બન્યો છે. જોધપુરથી 100 કિલોમીટર દૂર દેચુ ગામમાં પોતાના પુત્રની રાહ જોઈ રહેલી વૃદ્ધ માતા સ્તબ્ધ બની છે. તે હવે કંઈ બોલી રહી નથી. બસ પોતાના બાળકની અને તેના પરિવારને યાદ કરી સતત રડી રહી છે. આ બસમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. પોલીસ હવે ડીએનએ નમૂના એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે. આ દુર્ઘટનામાં મહેન્દ્રની પત્ની પાર્વતી, પુત્રી ખુશ્બુ, પુત્રી દીક્ષા અને પુત્ર શૌર્યનું મૃત્યુ થયું છે.
મહેન્દ્ર આર્મી ડેપોમાં તૈનાત હતો
મહેન્દ્ર જેસલમેરમાં આર્મી ડેપોમાં તૈનાત હતો. તે દિવાળીની રજાઓમાં જેસલમેરથી જોધપુર ઘરે પરત ફરી રહ્યો હતો. પરંતુ 35 વર્ષીય મહેન્દ્રનો આખો પરિવાર આ દુર્ઘટનામાં બળીને ખાખ થયો છે. એક દુર્ઘટનાએ મહેન્દ્રનો આખો પરિવાર છીનવી લીધો છે, ઘર અને ગામમાં તહેવારોની ખુશી શોકમાં ફેરવાઈ છે.
પોલીસ મહેન્દ્રની માતાને જોધપુર લાવવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ સમસ્યા હશે તો જોધપુરથી ડોકટરોની એક ટીમ ડીએનએ ટેસ્ટ માટે તેમના ઘરે જશે. મહેન્દ્રની પત્નીનો ભાઈ પાર્વતી પણ શબઘરમાં પહોંચી ગયો છે. દરેકની આંખોમાં આંસુ છે. આ એક અસહ્ય પીડા બની છે.











